
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018 માં જ્યારે કચ્છની મુલાકાતે ગયા ત્યારે તેઓએ ઉડાન યોજના વિશે પોતાના ભાષણમાં વાત કરી હતી પરંતુ એમાં ક્યાંય પણ તેઓ ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા એવું નથી બોલ્યા. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jaynti Makadia નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ 900 કંપનીઓ પોતના એરપોર્ટ બનાવી રહી છે કે સાહેબથી બાઉન્સર ફેંકાય ગયો! !!. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એવું જાણવા મળ્યું કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાષણ આપતો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત લીધી એ સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજ કપડાં સાથેનો સંપૂર્ણ વીડિયો અમને Narendra Modi દ્વારા તેમના સત્તાવાર યુટ્યુબ પર 30 સપ્ટેમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અંજારમાં મુદ્રા એલએનજી ટર્મિનલ અને અન્ય કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તે સમયનો આ વીડિયો છે.
આ સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યંય પણ એવું નથી બોલ્યા કે, ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા. પરંતુ આ વીડિયોમાં તમે 52.25 મિનિટ પછી વડાપ્રધાન મોદીને ઉડાન યોજના વિશે વાત કરતાં સાંભળી શકો છો. જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “કોંગ્રેસના 67 વર્ષના રાજમાં સરેરાશ દર વર્ષે એક નવું એરપોર્ટ ઓપરેશનલ થતું જ્યારે ભાજપના ચાર વર્ષના શાસનમાં દર વર્ષે 9 નવા એરપોર્ટ ઓપરેશનલ થયા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, આઝાદીથી અત્યાર સુધી આ દેશમાં 400 વિમાનો હવામાં રહ્યા અને ઉડ્યા જ્યારે જ્યારે આ એક જ વર્ષમાં 900 વિમાનનો નવો ઓર્ડર બુક થઈ ગયો.”
આજ વીડિયોને PMO India અને Bharatiya Janata Party દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
PMO India દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ 24 સપ્ટેમ્બર, 2018 ના રોજ એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે,
“આજે આપણા 100 એરપોર્ટ કાર્યરત થઈ ગયા છે, જેમાંથી 35 એરપોર્ટ છેલ્લા 4 વર્ષમાં બનેલા છે.
દેશમાં આઝાદીથી લઈને વર્ષ 2014 સુધી એટલે કે 67 વર્ષ પછી પણ 65 એરપોર્ટ હતા.
એટલે કે, 1 વર્ષમાં સરેરાશ 1 એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું,
છેલ્લા 4 વર્ષમાં, 1 વર્ષમાં સરેરાશ 9 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે” : PM
આજ વીડિયો સાથેના સમાચાર Sansad TV દ્વારા પણ 30 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018 માં જ્યારે કચ્છની મુલાકાતે ગયા ત્યારે તેઓએ ઉડાન યોજના વિશે પોતાના ભાષણમાં વાત કરી હતી પરંતુ એમાં ક્યાંય પણ તેઓ ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા એવું નથી બોલ્યા.

Title:શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…?
Fact Check By: Vikas VyasResult: False
