
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નહીં પરંતુ કર્ણાટક સ્થિત શ્રી યોગલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આઝાદ ભયકુ મંગા નામના ફેસબુક યુઝર દ્વારા 21 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથે એવું લખવામાં આવ્યું છે કે, સંધ્યા આરતી સમય અયોધ્યા જય બજરંગ બલી જય શ્રી રામ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Wonder Videos નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 14 જાન્યુઆરી, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘મંદિરમાં વાંદરાને તમે ઘંટડી વગાડતાં જોઈ શકો છો.’ વધુ માહિતીમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘મંદિરમાં વાંદરાએ ઘંટડી વગાડતા આ દ્રશ્યએ ભક્તોને આશ્ચર્યચકિત કરી દીધા કારણ કે વાંદરાઓને હનુમાનજીનું રુપ માનવામાં આવે છે’.
અમારી વધુ તપાસમાં અમને આ વીડિયોની નીચે લોકો દ્વારા કરવામાં આવેલી કોમેન્ટમાં આદિગા મંજુનાથ દ્વારા કરવામાં આવેલી એક કોમેન્ટમાં એં લખવામાં આવ્યું હતું કે, આ વીડિયો કર્ણાટકનો છે. વધુમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિરનો છે.
અમે આ કોમેન્ટ પરથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કર્ણાટકમાં ખરેખર શ્રી યોગલક્ષ્મી દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર આવેલું છે.
વધુમાં અમે આ મંદિરને ગુગલ મેપ પર શોધવાની કોશિશ કરતાં અમને શ્રી યોગલક્ષ્મી દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિરના સ્ટ્રીટ વ્યૂના ફોટો પ્રાપ્ત થયા હતા. આ ફોટોમાં અમને એ સ્તંભ દેખાઈ રહ્યો છે જેના પર ઘણી બધી ઘંટડીઓ લગાવેલી છે. જેના પર વાંદરાને બેઠેલો જોઈ શકાતો હતો.
નીચે તમે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને ગુગલ મેપ પર ઉપલબ્ધ ફોટોના સ્ક્રીનશોટ વચ્ચેની સમાનતા જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા ખાતેના રામ મંદિરનો નહીં પરંતુ કર્ણાટક ખાતેના શ્રી યોગલક્ષ્મી દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિરનો છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે કર્ણાટક સ્થિત શ્રી યોગલક્ષ્મી દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિરના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો યોગલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરનો છે. આ વિસ્તારમાં ઘણા વાંદરાઓ રખડતા હોય છે અને આ દ્રશ્ય અવારનવાર જોવા મળે છે.”
વધુમાં અમે રામમંદિરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ Shri Ram Janmbhoomi Teerth Kshetra પર સર્ચ કરતાં અમને 5 ઓગષ્ટ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કેટલાક ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, “શ્રી રામ જન્મભૂમિના મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ભગવાન રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને તમામ ભક્તોને તેમના દર્શન કરવાનો લહાવો મળશે. પ્રભુના આશીર્વાદ હંમેશા આપ સૌના પર બન્યા રહે. જય શ્રી રામ !”
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કર્ણાટકના મંદિરનો છે કારણ કે, અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ પ્રગતિ પર છે. આ મંદિરને હજુ તૈયાર થતાં સમય લાગશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નહીં પરંતુ કર્ણાટક સ્થિત શ્રી યોગલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરનો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
