
મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડને અભિનેતા અક્ષયકુમારે 5 કરોડની મદદ કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ધૈર્યરાજસિંહ રાઠોડના પરિવાર દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jadeja Ashoksinh Gulabsinh નામના ફેસબુક યુઝર દ્વારા 17 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડને અભિનેતા અક્ષયકુમારે 5 કરોડની મદદ કરી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડને અભિનેતા અક્ષયકુમારે 5 કરોડની મદદ કરવામાં આવી હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે અભિનેતા અક્ષયકુમારના સત્તાવાર ફેસબુક તેમજ ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શોધવાની કોશિશ કરતાં ત્યાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ધૈર્યરાજસિંહના પરિવારનો સંપર્ક કરતાં અમારી વાત ધૈર્યરાજસિંહના કાકા ધ્રુવરાજસિંહ રાઠોડ થઈ હતી. તેઓએ અમને જણાવ્યું હતું કે, “અભિનેતા અક્ષયકુમારે ધૈર્યરાજસિંહને 5 કરોડ રુપિયાની મદદ કરી એ માહિતી તદ્દન ખોટી છે. તેમજ તેઓએ લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ખોટી માહિતી પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડને અભિનેતા અક્ષયકુમારે 5 કરોડની મદદ કરી હોવાની માહિતીને ધૈર્યરાજસિંહના પરિવાર દ્વારા ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Title:શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…?
Fact Check By: Vikas VyasResult: False
