
ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે નથી આવવાની.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. ડો. તેજસ પટેલ દ્વારા ત્રીજી વેવ નહિં આવે તે નિવેદન ક્યારેય અને ક્યાંય પણ આપવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pragna k Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે નથી આવવાની.”

ફેસબુક પર આ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. ખૂબ મોટા પ્રમાણ લોકો આ મેસેજ ને શેર કરી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મેરાન્યુઝ સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાની બીજી લહેર જલ્દી જ પુરી થઈ ગઈ છે અને ત્રીજી લહેર આવવાની કોઈ રાહ ન જોતા તે નહીં આવે આ પ્રકારનું નિવેદન તેજસ પટેલ દ્વારા કયારેય નથી આપવામાં આવ્યુ. તેજસ પટેલ દ્વારા આ મેસેજના દાવાનું ખંડન કર્યુ હતુ.”

ત્યારબાદ અમે ડો. તેજસ પટેલના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તપાસ કરતા અમને ડો.તેજસ પટેલના ફેસબુક પેજ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમા તેઓ જણાવ્યુ હતુ કે, આ તદ્દન ખોટી માહિતી છે.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા ડો. તેજસ પટેલ નો સંપર્ક કર્યો હતો. તેમણે આ પોસ્ટનું ખંડન કરતા અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિવેદન મે આપ્યુ નથી. કોઈ શખ્સ દ્વારા પોતાના મનના વિચારોને મારા નામે ફેલાવવામાં આવી રહ્યા છે.”
તેમજ તેમણે અમને વિડિયો નિવેદન પણ મોકલાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ તારીખ 10 મે 2021ના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટિની મિટિંગ મળી હતી જેમાં ટાસ્ક ફોર્સના સભ્યો પણ હાજર રહ્યા હતા. જે બાદ ગુજરાતના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલ બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે. અને ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે. જોકે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પણ સંભવિત ખતરો છે. માટે ત્રીજી લહેર પહેલા સાવચેતી રાખવી જરૂર છે. ત્રીજી લહેર પહેલા વેક્સિનેશનને વધુ ઝડપી બનાવવામાં આવશે, જેથી કરીને લોકો ઓછા સંક્રમિત થાય. આવતા બે-ત્રણ દિવસમાં ડિટેઇલ પ્લાન બનાવાશે અને ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંસાધનની તૈયારીઓ કરાશે. સેકન્ડ વેવના કેસ વધતા હતા તે 29 એપ્રિલથી ધીમે ધીમે ઘટવાની પ્રક્રિયા થઈ છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. ડો. તેજસ પટેલ દ્વારા ત્રીજી વેવ નહિં આવે તે નિવેદન ક્યારેય અને ક્યાંય પણ આપવામાં નથી આવ્યુ.

Title:શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….?
Fact Check By: Yogesh KariaResult: False
