
આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેનાર રઘુરામ રાજનને લઈ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે, પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી ન હતી. એન્ડરૂ બેઈલી 2020 થી બેંકના ગવર્નર છે અને આઠ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂંક કરવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપસાવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ખાસ કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે RBIમાંથી નીકળ્યા પછી રઘુરામ રાજનની વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ શોધી હતી, દરમિયાન અમને અમેરિકાના સિકાગોમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસની વેબસાઇટ પર જોયું, જ્યાં રાજન ફાઇનાન્સના પ્રોફેસર છે.
તેમજ ભવિષ્યના ટાઈમટેબલમાં તેમની ફેકલ્ટી ડિરેક્ટરના ભાગ રૂપે 2022ના ઉનાળા અને શિયાળામાં રાજનના ક્લાસ હોવાનું દર્શાવે છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર વિશે માહિતી શોધવા પ્રયત્ન કર્યો હતો. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ હતુ કે, હાલમાં બેંકના ગર્વનર એન્ડરૂ બેઈલી છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર એન્ડરૂ બેઈલીની બાયોગ્રાફીમા માહિતી આપવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે તેમના નામની 20 ડિસેમ્બર 2019ના જાહેરાત કરવામાં આવી હતી અને 16 માર્ચ 2020 થી 15 માર્ચ 2028 સુધી તેઓ જ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકેનું પદ સંભાળશે.”

બેંક ઓફ ઈંગ્લેન્ડના વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પરથી 5 મેના પોલિસી રિપોર્ટ પર એક પ્રેસ કોન્ફરન્સનો વિડિયો ટ્વિટ કરવામાં આવ્યો હતો. જેમાં પેનલમાં બેસેલા સભ્યોમાં એક સભ્યની ઓળખ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડરૂ બેઈલી તરીકે આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે, પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી ન હતી. એન્ડરૂ બેઈલી 2020 થી બેંકના ગવર્નર છે અને આઠ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂંક કરવામાં આવી છે.

Title:શું ખરેખર રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમૂણંક કરાયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
