
પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને બાંગ્લાદેશ પરત મોકલવાની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે, લોકોથી ભરેલી ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓ બંગાળના ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવશે તેના ડરથી પોતાના વતન પાછા ભાગી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ટ્રેનમાં બાંગ્લાદેશ રેલવે લખેલુ જોવા મળી રહ્યુ છે. જ તમે નીચે જોઈ શકો છો.

તેમજ વીડિયોને વધુ ધ્યાનથી જોતા અમને આ ટ્રેનનું નામ અને નંબર પણ મળ્યા હતા. જે ચૈલાહતી એક્સપ્રેસ (ટ્રેન નં. 805/806) વાંચવામાં આવ્યુ. જે તમે નીચે જોઈ શકો છો.

આ ટ્રેન અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ટ્રેન બાંગ્લાદેશ રેલવેમાં ચાલતી એક ઈન્ટર સિટી ટ્રેન છે. જે ઢાકા થી નીલફામરીમાં આવેલા ચિલાહટી રેલવે સ્ટેશન સુધી ચાલે છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને બાંગ્લાદેશી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ઢાકા અને ચિલાહાટી વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેન છે.
તેમજ વધુ સર્ચ કરતા સમાચાર અહેવાલો અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટ્રેનો દોડે છે, જેમાં સૌથી તાજેતરની મિતાલી એક્સપ્રેસ છે, જે 2022માં શરૂ કરવામાં આવી હતી. આ પહેલા, મૈત્રી એક્સપ્રેસ અને બંધન એક્સપ્રેસ બંને દેશો વચ્ચે પહેલાથી જ દોડતી હતી.
5 ઓગસ્ટ 2024ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, શેખ હસીનાના રાજીનામા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને હજુ સુધી તેને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.
ત્યારબાદ, અમે વાયરલ વીડિયોના મૂળ સ્ત્રોત શોધવા માટે તેના કીફ્રેમ્સનો ઉપયોગ કરીને રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. આ સર્ચ દ્વારા, અમને ‘RailNews24’ના ફેસબુક પ્રોફાઇલ પર વીડિયો મળ્યો, જ્યાં તેને બકરી ઇદના તહેવાર દરમિયાન દોડતી ટ્રેન તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં વાસ્તવમાં ઈદ-ઉલ-અધાના અવસર પર બાંગ્લાદેશની અંદર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોનો છે, આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.


