
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બાબા રામદેવ દ્વારા વર્ષ 2012 માં મનમોહનસિંહની સરકાર સમયે કરવામાં આવેલી ટ્વિટનો છે. આ ટ્વિટને મોદી સરકારના શાસન સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો ફોટો મૂકવામાં આવ્યો છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, केंद्र सरकार CBI को कठपुतली की तरह इस्तेमाल कर रही हैं. જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ બાબા રામદેવ દ્વારા મોદી સરકારના વિરોધમાં કરવામાં આવ્યું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બાબા રામદેવ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને બાબા રામદેવ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ स्वामी रामदेव પરથી 21 જુલાઈ, 2012 ના રોજ કરવામાં આવેલું પોસ્ટમાં મૂકવામાં આવેલું આજ ટ્વિટ પ્રાપ્ત થયું હતું.
હવે એ સ્પષ્ટ સાબિત થઈ ગયું હતું કે, બાબા રામદેવ દ્વારા આ પ્રકારનું ટ્વિટ સરકાર વિરુદ્ધમાં કરવામાં આવ્યું છે. પરંતુ એ પણ જાણવું જરૂરી હતું કે, વર્ષ 2012 માં ભારતના વડાપ્રધાન કોણ હતા? અને સરકાર કોની હતી?
અમારી આગળની તપાસમાં અમને વીકિપીડિયા પરની માહિતીમાં એ જાણવા મળ્યું હતું કે, વર્ષ 2012 માં ભારતના વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ કાર્યરત હતા અને એ સમયે કેન્દ્રમાં યુપીએની સરકાર શાસનમાં હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બાબા રામદેવ દ્વારા વર્ષ 2012 માં મનમોહનસિંહની સરકાર સમયે કરવામાં આવેલી ટ્વિટનો છે. આ ટ્વિટને મોદી સરકારના શાસન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…?
Fact Check By: Vikas VyasResult: Misleading
