
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા નીકાળવામાં આવેલી નાવ રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manishi Jani નામના ફેસબુક યુઝર દ્વારા 27 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 26જાન્યુઆરીએ ખેડૂત આંદોલન ની ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનાં સમર્થનમાં કેરાલા ના માછીમારોની નાવ રેલી.. સલામ..સલામ…!. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા નીકાળવામાં આવેલી નાવ રેલીનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને BJP Keshpur Purba Mandal નામના ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 15 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 74 મા ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ.
આજ ફોટો અમને ટ્વિટર પર પણ Delhi નામના ટ્વિટર યુઝર દ્વારા 15 ઓગષ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો en.picmix.com નામની વેબસાઈટ પર પણ 1 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
