![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2021/03/Thubnail-Post-No-06-dhriaj-1024x576.png)
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત આપવામાં આવી હતી. સરકારને આ માહિતીની જાણ થતાંની સાથે જ આરોપીઓને ઝડપી લીધા હતા. સમાચારપત્રના આ ફોટોને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આમ આદમી પાર્ટી સુરત નામના ફેસબુક યુઝર દ્વારા 14 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશ મથુરા માં આવેલ ગોવર્ધન પર્વત મોદી સરકારે વેચવાની તૈયારી કરી દીધી છે .. ગોવર્ધન પર્વત કરોડો હિંદુઓ ની આસ્થા નું પ્રતિક છે તો આમાં હિન્દુ ધર્મ ખતરા માં આવે કે નહી … ? આતો ખાલી પૂછ્યું .. બાકી ભલે ને બધું વેચી મારે કોઈને ક્યાં પડી છે … આ ફેંકુ જૈન ધર્મ અને મુસ્લિમ ધર્મ ની કોઈ વસ્તુને હાથ નહિ લગાડે લખી રાખજો .. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના લખાણને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને zeenews.india.com દ્વારા 8 ફેબ્રુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની ઓનલાઈન જાહેરાત આપવા બદલ ઈન્ડિયા માર્ટના સીઈઓ સહિત 3 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
આજ માહિતી સાથેના સમાચાર અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. amarujala.com | jagran.com
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગોવર્ધન પર્વતની ઓનલાઈન શિલાઓ વેચવા પર મથુરા પોલીસ દ્વારા 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે ઇન્ડિયા માર્ટ કંપનીના સીઈઓ દિનેશ અગ્રવાલ, કો-ફાઉન્ડર બ્રજેશ અગ્રવાલ અને મથુરામાં સપ્લાયર અંકુર અગ્રવાલને ઝડપી લીધા છે.
પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર પત્રના ફોટોના લખાણને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ઈન્ડિયા માર્ટ નામની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં એક શિલાની કિંમત 5175 રુપિયા રાખવામાં આવી હતી. આ જાહેરાત લોકોમાં વાયરલ થતાં સાધુ-સંતોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને NDTV અને The New Indian Express દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર પણ આ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની માહિતી તદ્દન ખોટી છે. એક ઓનલાઈન ઈ-કોમર્સ કંપની દ્વારા ગોવર્ધન પર્વની શિલાઓ વેચવાની જાહેરાત આપવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા આરોપીઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે.
![Avatar](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2022/01/Misleading.png)
Title:શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…?
Fact Check By: Vikas VyasResult: Misleading