
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં વિજેતા મમતા બેનરજીને લગતા ઘમા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે મમતા બેનરજી અને જશોદાબેન મોદીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જ્યારે મમતા બેનરજી કલકત્તા એરપોર્ટ પર જશોદાબેન મોદીને મળ્યા હતા તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે બંગાળની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કારું લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જશોદાકાકી ઍ દીદી ને અભિનંદન આપીયા….. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, જશોદાબેન મોદી સોશિયલ મીડિયા પર સક્રિય છે કે કેમ ? થો અમારી તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, જશોદાબેન મોદી કોઈ પણ સોશિયલ મીડિયા પર સક્રિય નથી.
તેથી અમે સીધો જ જશોદાબેન મોદીનો સંપર્ક કરી આ બાબતે પૂછતાં તેઓએ મને જણાવ્યું હતું કે, “મેં મમતા બેનરજીને કોઈ પણ પ્રકારે અભિનંદન પાઠવ્યા નથી. મારા નામે ખોટી માહિતી લોકો વાયરલ કરી રહ્યા છે.”
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો જશોદાબેન મોદીનો અને મમતા બેનરજીની મુલાકાતનો ફોટો ક્યાંનો અને ક્યારનો છે?
તો એના માટે અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને amarujala.com દ્વારા 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કલકત્તા એરપોર્ટ પર જ્યારે મમતા બેનરજી દિલ્હી જવા રવાના થતા હતા એ પહેલાં તેઓની નજર અચાનક જ જશોદાબેન મોદી પર પડતાં તેઓ દોડીને તેમને મળવા પહોંચી ગયા હતા અને તેમને એક સાડી ભેટ આપી હતી.
પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. timesofindia.indiatimes.com | hindi.oneindia.com
આ ફોટો અંગે અમે જશોદાબેન મોદીને પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વર્ષ 2019 માં યોગાનુયોગ કલકત્તા એરપોર્ટ પર અમારી મુલાકાત થઈ હતી એ સમયનો આ ફોટો છે. એ સમયે મમતા બેનરજી મને જોઈને મળવા આવ્યા હતા તેમજ ફક્ત ખબરઅંતર પૂછીને તરત જ ત્યાંથી નીકળી ગયા હતા. એના પછી આજ દિન સુધી અમારી કોઈ પણ રીતે મુલાકાત, વાતચીત કે સંપર્ક થયો નથી.”
આજ માહિતી સાથેના વીડિયો સમાચાર પણ અમને inKhabar દ્વારા 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં જ્યારે મમતા બેનરજી કલકત્તા એરપોર્ટ પર જશોદાબેન મોદીને મળ્યા હતા તે સમયનો છે.

Title:શું ખરેખર બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન આપ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
