
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ‘નરેન્દ્ર મોદી ચોક’ બનાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ફોટોને એડિટીંગ કરીને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhautik Patel નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દામોદર દાસ ના સુપુત્ર નરેન્દ્ર નું હજી એક નવું નજરાણું નરેન્દ્ર ચોક. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ‘નરેન્દ્ર મોદી ચોક’ બનાવવામાં આવ્યો છે તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આવો જ એક અન્ય ફોટો urdupoint.com નામની એક ઉર્દૂ ભાષાની વેબસાઈટ પર 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ ફોટો પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોથી થોડો અલગ હતો. આ ફોટોમાં નરેન્દ્ર મોદીની જગ્યાએ એક મોટો કપ હતો અને નીચે નરેન્દ્ર મોદી ચોક લખેલું છે ત્યાં DEER TEA PHA લખેલું જોવા મળી રહ્યું છે. આ ફોટોની સાથે ઉપર શીર્ષકમાં એવું લખેલું છે કે, Faisalabad: Kettle and cup installed for beauty in Station Chowk. જેનો ગુજરાતી મતલબ એવો થાય છે કે, ફૈસલાબાદ: સ્ટેશન ચોકમાં સુંદરતા માટે કિટલી અને કપ લગાવવામાં આવ્યા.
આજ માહિતી અને ફોટો સાથેની માહિતી અમને pakistanpoint.com અને brecorder.com નામની વેબસાઈટ પર પણ પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના ફૈસલાબાદ ખાતે આવેલા એક ચોકનો છે. જેને એડિટીંગ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, ખરેખર ફૈસલાબાદમાં આ પ્રકારનો કોઈ ચોક છે કે કેમ? જેના માટે અમે ગુગલ મેપનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ ચોકની માહિતી પ્રાપ્ત થઈ હતી.

વધુમાં તમે ફ્લિકર પર પણ ફૈસલાબાદમાં આવેલા આ ચોકનો ફોટો જોઈ શકો છો.
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂતળાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ઈન્ડિયા માર્ટ નામની વેબસાઈટ પરથી લેવામાં આવ્યો છે.
હવે અમે દરભંગા ખાતે નરેન્દ્ર મોદી નામનો કોઈ ચોક આવેલો છે કે કેમ? એ જાણવા માટે જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને patrika.com દ્વારા 17 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સાઈડ પર જે નરેન્દ્ર મોદી ચોક, દરભંગાનું જે બોર્ડ નજરે પડી રહ્યું છે તેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બાબુ ભદવા ગામમાં રહેનારા એક ભાજપના સમર્થકના પિતાએ તેમની દુકાનની પાસે નરેન્દ્ર મોદી ચોક નું બોર્ડ લાગવ્યું હોવાથી તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટીંગ કરેલા ફોટો વચ્ચેના તફાવતને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ફોટોને એડિટીંગ કરીને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચોક બનાવવામાં આવ્યો તેનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: False
