
Vimal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking News બોલિવુડ મા લાગ્યો મોટો ઝટકો આજ રોજ સંજય દત્તનું થયુ નિધન તેની સારવાર ચાલુ હતી લિલાવતી હોસ્પિટલ મા તેમનુ મુત્યુ નુ કારણ કેન્સર બતાવામા આવે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બોલિવુડને ઝટકો લાગ્યો સંજય દત્તનું કેન્સરની બિમારીના કારણે નિધન થયુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો બોલીવુડના ખ્યાતનામ એકટર સંજય દત્તનું આ પ્રકારે નિધન થાય તો દેશના તમામ મિડિયા સંસ્થાનો દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ, પરંતુ અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા.
અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને ઝીન્યુઝ નો તારીખ 18 સપ્ટેમ્બર 2020નો એક અહેવાલ પાર્પાત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સંજય દત્ત તેમની પત્ની, પુત્ર અને પુત્રી સાથે દુબઈમાં છે.
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને તારીખ 23 સપ્ટેમ્બર 2020નો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં સંજય દત્તે દુબઈથી પરત આવી જવું જોઈએ, તેમની સારવાર કરી રહેલા ડો. જલિલ પારકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “કિમો થેરાપીની 3 સાઈકલ માટે આગામી સાત દિવસમાં સંજય દત્તે મુંબઈ પરત આવવુ પડશે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે. સંજય દત્ત હાલમાં દુબઈ છે. અને તેની કેન્સરની સારવાર ચાલી રહી છે અને આગામી 30 તારીખ સુધીમાં તેને પરત મુંબઈ આવવું પડશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સંજય દત્ત હાલમાં તેમના પરિવાસ સાથે દુબઈ છે. તેમના મૃત્યુ અંગેના સમાચાર તદ્દન ખોટા છે.

Title:શું ખરેખર સંજય દત્તનું કેન્સરની બિમારીના કારણે મોત થયુ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
