
Surat City નામના એક ફેસબુક પેજ દ્વારા 13 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ 3 છોકરીઓ કાલથી ગાયબ છે. જેને પણ દેખાય તે તરત જ નીચેના નંબર પર contact કરો. કાલે સાંજે બરાબર 4:26 વાગ્યા થી ગુમ થયેલ છે…આ દીકરીઓ ને શોધવા મદત કરો…નામ:- 1) કશીશ સંજય સોરટે 2) નિકિતા સંજય સોરટે 3) અંજલિ સંજય હેડાઉ. Contact Number :-1) 7878842123 2) 9913273684
જોક તો બધા ફટાફટ Share કરે આજે ખબર પડશે કે આ કેટલા લોકો Share કરશે ….કેટલા લોકો માં માનવતા છે……
જલ્દી આ દીકરીઓને શોધીને એમના માં-બાપ સુધી પોહોંચાડવા આપનો સહયોગ આપશો……
ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 336 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 1800 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.
Face book | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટની માહિતીને ધ્યાનથી વાંચી તો અમને પોસ્ટમાં જ દર્શાવવામાં આવેલો એક મોબાઈલ નંબર પ્રાપ્ત થયો હતો. આ મોબાઈલ નંબર પર અમે સંપર્ક સાધતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ મોબાઈલ નંબર ગુમ થયેલી બાળકીઓના પિતાનો છે. અને એમનું નામ સંજય દેવરામ સોરતે છે. અમે સંજયભાઈ સાથે પોસ્ટમાં દર્શાવેલી વિગત મુજબે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું કે, “10 જૂન, 2019 ના રોજ સાંજે 4.20 વાગ્યે રોયલ સ્ટાર ટાઉનશીપ, ડિંડોલી, સુરત ખાતેથી મારી બે દીકરી અને એક ભાણેજ ગુમ થયાની વાત સાચી છે, આ અંગે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 11 જૂન, 2019 ના રોજ સાંજે આ ત્રણેય દીકરીઓ અમને હેમખેમ મળી ગઈ હતી. ”

અમે અમારી તપાસ આગળ વધારતાં ડિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં અમને ત્યાંથી પોસ્ટમાં દર્શાવવામાં આવેલ વિગતની ફરિયાદની કોપી પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.

પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “10 જૂન, 2019 ના રોજ સાંજે 4.20 વાગ્યે રોયલ સ્ટાર ટાઉનશીપ, ડિંડોલી, સુરત ખાતેથી આ ત્રણેય બાળકીઓ ગુમ થઈ હતી. જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ બાળકીઓને તેના ઘરેથી સામાન્ય ઠપકો મળતાં તેઓ ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 11 જૂન, 2019 ના રોજ ભરૂચ રેલવે પોલીસ દ્વારા બાળકીઓને ભરૂચથી શોધી કાઢવામાં આવી હતી. ભરૂચ રેલવે પોલીસ દ્વારા ઉધના પોલીસ સ્ટેશન, સુરત અને ત્યાંથી ડિંડોલી પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરતાં અમે બાળકીઓના પરિવારને જાણ કરી હતી અને બાળકીઓને સુરત લાવી પરિવારને સોંપવામાં આવી હતી.”

આ સમગ્ર સંશોધનના અંતે બાળકીઓનો આજ રોજ એટલે કે, 15 જૂન, 2019 ના રોજનો ફોટો અમને બાળકીના પિતા દ્વારા મોકલવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

આ તમામ સંશોધન પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં દર્શાવેલ બાળકીઓ 10 જૂન, 2019 ના રોજ ગુમ થઈ હતી અને 11 જૂન, 2019 ના રોજ મળી આવી હતી. પરંતુ આ પોસ્ટ બાળકીઓ મળી આવ્યા પછી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે અને હાલમાં ખોટી રીતે વાયરલ થઈ રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલ બાળકીઓ 10 જૂન, 2019 ના રોજ ગુમ થઈ હતી અને 11 જૂન, 2019 ના રોજ મળી આવી હતી. પરંતુ આ પોસ્ટ બાળકીઓ મળી આવ્યા પછી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ બાળકીઓ સુરતથી ગુમ થઈ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: Mixture
