
Bharat Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સાચો ભારતીય ક્યારેય ન જોવા ઇચ્છતો હોય તેવું દુસ્વપ્ન સાચું થઈ રહ્યું છે, સાચે જ રેલ્વેનું ખાનગીકરણ થઈ ગયું છે…. અદાણી ઝીંદાબાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યુ છે અને રેલવે ટ્રેન પર અદાણી લખી દેવામાં આવી છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને, અદાણી સંચાલિત કન્ટેનર ટ્રેનોના ઘણા વિડિયો પણ મળી આવ્યા હતા. 7 એપ્રિલ, 2013 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયોના કેપ્શનમાં લખ્યું હતુ કે, “ઓવરટેકિંગ અદાણી એગ્રિ ફ્રાઇટ: ન્યુ દિલ્હી – સેલદાહ દુરંયન્તો બ્લૂઝ ખાના જં.“
બીજા અન્ય વિડિયો પણ અમને યુટ્યુબ પર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, અદાણી લોજિસ્ટિક્સ, બહુરાષ્ટ્રીય સમૂહનો વિભાગ છે, 2006 થી કન્ટેનર ટ્રેન કામગીરી માટે પાન-ઇન્ડિયાનું લાઇસન્સ ધરાવે છે.
ધ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેએ જાન્યુઆરી 2007માં અદાણી લોજિસ્ટિક્સ સહિતના ખાનગી ઓપરેટરો માટે કન્ટેનર ટ્રેનનો વેપાર શરૂ કર્યો હતો.
અમને લાઇવમિન્ટનો એક અન્ય અહેવાલ મળ્યો કે, અદાણી લોજિસ્ટિક્સ નવેમ્બર 2007 થી ભારતમાં કન્ટેનર ટ્રેનો ચલાવે છે.
તેમજ વિડિયોને ધ્યાનથી જોતા તેમાં અમને ટ્રેનના ડબ્બામાં GPWIC લખેલુ જણાયુ હતુ જેનો અર્થ(General-Purpose Wagon Investment Scheme) થાય છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, 2018માં ભારતીય રેલવેએ અદાણી ગ્રુપ અને ટાટા સ્ટીલ સહિતની છ કંપનીઓને GPWIS હેઠળ પોતાની વેગન રાખવા માટેની દરખાસ્તોને મંજૂરી આપી દિધી હતી.
આ યોજના છ કંપનીઓને ખનિજ અને કોલસા જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓના પરિવહન માટે પરવાનગી આપે છે, જેનું સંચાલન 2018 સુધી રેલવે દ્વારા કરવામાં આવત પરંતુ તે અનિયમિત હતુ.
કેન્દ્ર સરકાર ભારતમાં 109 વ્યસ્ત રૂટ પર 35 વર્ષ સુધી 151 ખાનગી ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. ભારતમાં દોડનારી કુલ ટ્રેનોમાં આ ફક્ત 5 ટકા જેટલું છે. ઉપરાંત, ભારતીય રેલવેનું નામ બદલવા અંગે વિશ્વસનીય સ્રોતોમાંથી કોઈ અહેવાલ પ્રાપ્ત થયા ન હતા.
આમ, સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડિયોમાં ટ્રેન અદાણી લોજિસ્ટિક્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે 14 અન્ય ખાનગી કંપનીઓ સાથે એક દાયકાથી વધુ સમયથી સેવા આપી રહી છે. જેને ભારતીય રેલવેના તાજેતરના ખાનગીકરણના પગલા સાથે કોઈ લેવા-દેવા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય રેલવે દ્વારા ન તો તેનું નામ બદલવામાં આવ્યુ છે કે ન તો તેની ટ્રેનો અદાણી જૂથને વેચવામાં આવી છે. 2006 થી અદાણી ગ્રૂપ સહિત ઓછામાં ઓછી 15 ખાનગી કંપનીઓ પાસે ભારતમાં કન્ટેનર ટ્રેનો ચલાવવાનું લાઇસન્સ છે.

Title:શું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
