
હાલમાં છતીસગઢમાં નક્સલી હુમલો થયો હતો. જેમાં 22 જવાનો શહીદ થયા હતા. જે બાદ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. હાલમાં બીજાપુરમાં થયેલા હુમલામાં ભાજપાના નેતાની ધરપકડ નથી કરવામાં આવી. જગત પુજારીની વર્ષ 2020માં દંતેવાડામાં થયેલા હુમલામાં ધરપકડ કરાઈ હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 April 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીજાપુરના નક્સલી હુમલા માટે ભાજપના નેતા જગત પુજારી સહિત 2 નેતાની ધરપકડ કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના છતીસગઢના બીજાપુરમાં બની હતી. જ્યા નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહિદ થયા હતા. 31 ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જો કે, આ હુમલામાં 12 નક્સલીને મારી પણ નાખવામાં આવ્યા હતા.
તેમજ પોસ્ટ સાથે વાયરલ થઈ રહેલા કટિંગમાં માહિતી આપવામાં આવી હતી કે, છતીસ ગઢના દંતેવાડા જિલ્લામાં માઓવાદીને સમર્થન કરવા બદલ ભાજપાના નેતાની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ હુમલો તો બીજાપુરમાં થયો હતો. જે કયાંક શંકા ઉભી કરે છે.
આ ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને પંજાબ કેસરી દ્વારા 14 જૂન 2020ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વર્ષ 2020માં ભાજપના એક સ્થાનિક નેતા અને અન્ય એક વ્યક્તિને છત્તીસઢના દંતેવાડા જિલ્લામાં માઓવાદીના સમર્થક હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ધરપકડ કરાયેલા સ્થાનિક નેતા ભાજપના દંતેવાડા જિલ્લા એકમના ઉપપ્રમુખ હતા. જેમણે નક્સલવાદીઓને પહોંચાડવા માટે ટ્રેક્ટર ખરીદ્યું હતું.”

તેમજ વધુ સર્ચ કરતા અમને 14 જૂન 2020ના એએનઆઈ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “છત્તીસઢ પોલીસે કહ્યું કે, ભાજપ નેતા જગત પૂજારી સહિત બે લોકોને નક્સલવાદીઓની મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.”

તેમજ હાલમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં કોઈની ધરપકડ થઈ છે કે કેમ, તે જાણવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી હોવાનું અમને જાણવા મળ્યુ નથી.
તેમજ આ પ્રકારના નક્સલી હુમલા માટે માડવી હિડમાને માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા તેના પર 25 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યુ છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે બીજાપુરના જિલ્લા પોલીસવડા કમલોચન કશ્યપનો સંપર્ક સાધ્યો હતો, તેમણે પણ આ વાતની પૃષ્ટી કરી હતી કે, “આ પ્રકારે કોઈ નેતાની હાલમાં ધરપકડ કરવામાં નથી. આ એક અફવા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. હાલમાં બીજાપુરમાં થયેલા હુમલામાં ભાજપાના નેતાની ધરપકડ નથી કરવામાં આવી. જગત પુજારીની વર્ષ 2020માં દંતેવાડામાં થયેલા હુમલામાં ધરપકડ કરાઈ હતી.

Title:શું ખરેખર બીજાપુર નક્સલી હુમલામાં ભાજપાના બે નેતાઓની ધરપકડ કરવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
