રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2013 માં યુપીએ સરકારનો અધ્યાદેશ ફાડવાના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2013 માં રાહુલ ગાંધીએ યુપીએ સરકારનો અઘ્યાદેશ ફાડી નાખ્યો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2012 માં ચૂટણી પ્રચાર સમયે સમાજવાદી પાર્ટી અને બસપા પર કટાક્ષ કરતાં તેમના ચૂંટણીના વાયદાઓનું લિસ્ટ ફાડ્યું હતું તેનો છે. રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૨૦૧૩ માં સુપ્રીમે ચુકાદો આપ્યો કે બે વર્ષથી વધુ સજા થઈ હોય એવા MP ની સંસદની સદસ્યતા રદ કરવી..તત્કાલીન મનમોહન સરકારે આ હુકમને રદ કરતો અધ્યાદેશ રજૂ કર્યો…જે રાહુલ ગાંધીએ ભરી પ્રેસ કોન્ફરન્સમાં ફાડી નાખ્યો… હવે એ જ કાયદા અંતર્ગત રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયું…! What a coincidence…!.પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2013 માં રાહુલ ગાંધીએ યુપીએ સરકારનો અઘ્યાદેશ ફાડી નાખ્યો હતો તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટા સાથેના વીડિયો સમાચાર એનડીટીવી ઈન્ડિયા દ્વારા 15 ફેબ્રુઆરી, 2012 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ યુપીમાં એક ચૂંટણી સભામાં બોલતા વિપક્ષી પાર્ટીઓ પર આરોપ લગાવ્યો કે, તેઓ હવે વીજળી, પાણી, રોજગાર અને બેરોજગારી ભથ્થાનું વચન આપી રહ્યા છે. આ વચનોની એક જ યાદી દરેક વખતે ચલાવવામાં આવે છે. આ રાજ્ય યાદીઓ અને વચનોથી નહીં ચાલે. એમ કહીને તેમણે હાથમાં રહેલો કાગળ ફાડી નાખ્યો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.in | rediff.com

હવે એ પણ જાણવું જરુરી હતું કે, અધ્યાદેશ ફાડવાનો મામલો શું હતો?

અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. જેમાં રાહુલ તે વટહુકમ અંગે વાત કરી રહ્યા છે. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આ વટહુકમ વિશે મારો અભિપ્રાય એ છે કે, તે સંપૂર્ણપણે વાહિયાત છે. તેને ફાડીને ફેંકી દેવો જોઈએ. આ મારો અંગત અભિપ્રાય છે. હું પુનરાવર્તન કરું છું, તેને ફાડીને ફેંકી દેવો જોઈએ.

આમ, અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે, રાહુલ ગાંધીએ યુપીએ સરકારના વટહુકમને જાહેરમાં ફાડ્યો ન હતો, પરંતુ તેમણે તેને ફાડીને ફેંકી દેવાની વાત કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2012 માં ચૂટણી પ્રચાર સમયે સમાજવાદી પાર્ટી અને બસપા પર કટાક્ષ કરતાં તેમના ચૂંટણીના વાયદાઓનું લિસ્ટ ફાડ્યું હતું તેનો છે. રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2013 માં યુપીએ સરકારનો અધ્યાદેશ ફાડવાના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False