સુરતના નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાંથી બાળકનું અપહરણ થયું હોવાનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના નાના વરાછા ખાતેની શુભલક્ષ્મી સોસાયટામાંથી બાળકનું અપહરણ થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિશે વરાછાના પીઆઈ અને પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારનો કોઈ બનાવ તેમના વિસ્તારમાં ન બન્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 05 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તારીખ 2/9/2022 ના રોજ સુરત નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાં થી નાના છોકરાઓનું અપહરણ સુરત ગંભીર ઘટના..!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના નાના વરાછા ખાતેની શુભલક્ષ્મી સોસાયટામાંથી બાળકનું અપહરણ થયું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સુરતના નાના વરાછા ખાતે આવી કોઈ બાળકના અપહરણની ઘટના બની છે કે કેમ? એ જાણવાની કોશિશ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા. 

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે કરવામાં આવેલા દાવાની ખાતરી કરવા માટે સીધો જ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ અલ્પેશ ગાબાણીનો સંપર્ક કરતાં તેઓએ આ વીડિયો અંગે જણાવ્યું હતું કે, “આવી કોઈ જ ઘટના આમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તાજેતરમાં બની હોય એવું મારા ધ્યાનમાં નથી. જો આવી કોઈ ઘટના બને તો તેની FIR તો નોંધાઈ જ હોય પણ આવી કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ પણ નથી. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર બાળકોના અપહરણની ખોટી માહિતી અને અફવાઓ ફેલાઈ રહી છે તેનાથી લોકોએ જાગૃત રહેવું જોઈએ.”

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુરત ખાતેના સ્થાનિક પત્રકારોનો પણ સંપર્ક કર્યો હતો. તેઓએ પણ અમને એજ જણાવ્યું હતું કે, “આ પ્રકારની કોઈ ઘટના હમણાં નાના વરાછા ખાતે બની હોવાનું અમારા ધ્યાનમાં નથી. જો આવી કોઈ ઘટના બની હોત તો એ ચોક્કસ બ્રેકિંગ ન્યૂઝ બન્યા હોત.”

અમારી વધુ તપાસમાં અમને એક સ્થાનિક રહેવાસી પાસેથી એ જાણવા મળ્યું હતું કે, આ ઘટના નાના વરાછા ખાતે બની હતી પરંતુ આ કોઈ અપહરણની ઘટના નહતી. કોઈ વ્યક્તિઓ દ્વારા મજાક કરવામાં આવી હોવાનો વીડિયો આ રીતે અપહરણના નામે વાયરલ થઈ રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિશે વરાછાના પીઆઈ અને પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારનો કોઈ બનાવ તેમના વિસ્તારમાં ન બન્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:સુરતના નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાંથી બાળકનું અપહરણ થયું હોવાનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading