
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મદિરના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી રુપિયા ઉપાડીને ઠગી કરનાર ચારેય આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાં 6 લાખ રુપિયા જમા પણ કરી દેવામાં આવ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 11 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના કટિંગના ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા 10 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રામ મંદિર નિર્માણ માટેના બેન્કના ખાતામાંથી ક્લોન ચેક દ્વારા 6 લાખ રુપિયાની ઉઠાંતરી કરવામાં આવતાં ટ્રસ્ટ દ્વારા આ ઘટના અંગે કોતવાલી પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujaratsamachar.com | iamgujarat.com
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને patrika.com દ્વારા 29 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી રોકડ ઉપાડીને ઠગી કરવાના કેસમાં અયોધ્યા પોલીસને મોટી સફળતા મળી છે.
અયોધ્યાના વરિષ્ટ પોલીસ અધિકારી દિપક કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટ સાથે ઠગી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આ તમામ આરોપી મુંબઈના રહેવાસી છે. તમામના નામ અનુક્રમે પ્રશાંત મહાબલ શેટ્ટી, વિમલ ભગવાનદાસ લલ્લા, શંકર સીતીરામ ગોપાલે, સંજય તેજરાજ જૈન છે. આ આરોપીઓ પાસેથી પોલીસે 8 મોબાઈલ, એક કોટક મહિન્દ્રા બેન્કની ચેકબુક, 2 એટીએમ, 1 પાનકાર્ડ અને એક આધારકાર્ડ જપ્ત કર્યા છે. પોલીસે આ તમામ આરોપીઓને કલમ 419/420/467/468/471/120 બી દાખલ કરીને જેલ ભેગા કર્યા છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | hindi.dynamitenews.com
અયોધ્યા પોલીસ દ્વારા પણ પકડાયેલા ચાર આરોપી અંગે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સત્તાવાર ટ્વિટર પરથી 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખાતામાંથી ઠગી કરીને ઉપાડવામાં આવેલા 6 લાખ રુપિયા ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખાતામાં જમા કરી દેવામાં આવી છે.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે શહેરના એસપી દિવ્યપાલસિંહ સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર 2020 માં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લગભગ 6 લાખ જેટલી રોકડ રકમ ઉપાડી લેવાના કેસમાં પોલીસ દ્વારા ચારેય આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કેસ અંગે આગળની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ધૂરી માહિતી સાથેનો સાબિત થાય છે કારણ કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી રુપિયા ઉપાડીને ઠગી કરનાર ચારેય આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાં 6 લાખ રુપિયા જમા પણ કરી દેવામાં આવ્યા છે.

Title:રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી ઉપડી ગયેલી રોકડના કેસની અધૂરી માહિતી વાયરલ…?
Fact Check By: Vikas VyasResult: Missing Context
