આ ફોટોને ગુજરાતની આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ તસવીર વાસ્તવમાં 2017માં કોલકાતામાં યોજાયેલી શહીદ દિવસની રેલીની છે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા નોમિનેશન ફાઈલ કરતી વખતે સુરતમાં એકઠી થયેલી ભીડ હોવાના દાવા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે ભીડ દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે.
આ તસવીર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં વાયરલ થઈ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોપાલ ઈટાલિયા નોમિનેશન ભરવા ગયા ત્યારે તેમની રેલી દરમિયાનના આ દ્રશ્ય છે.”
AAPના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. કોંગ્રેસે આ સીટ માટે ઓબીસી નેતા કપલેશ વારિયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે હજુ સુધી આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Meru Odedara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોપાલ ઈટાલિયા નોમિનેશન ભરવા ગયા ત્યારે તેમની રેલી દરમિયાનના આ દ્રશ્ય છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ફેસબુક પ્રોફાઇલ પર આ ફોટો પ્રાપ્ત થઈ હતી. જે તસવીર સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તસવીર ‘શહીદ દિવસ’ રેલીના સમયની છે, જે 21 જુલાઈ, 1993ના રોજ પોલીસ દ્વારા 13 નિર્દોષ રાજકીય કાર્યકરોની હત્યાની યાદમાં કાઢવામાં આવી હતી. આ તસવીર 21 જુલાઈ, 2017માં અપલોડ કરવામાં આવી હતી.
શહીદ દિવસને લઈને 2017માં ‘ધ હિન્દુ’ દ્વારા લખવામાં આવેલા રિપોર્ટમાં આ તસવીરનો બીજો એંગલ પણ જોઈ શકાય છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શહીદ દિવસ નિમિત્તે કોલકાતામાં એક રેલીને સંબોધિત કરી.’

ધ હિન્દુ દ્વારા પ્રકાશિત આ ફોટોમાં આપણે ડાબી બાજુએ કોલકાતાની ધરમલા સ્ટ્રીટ પર ટીપુ સુલતાન મસ્જિદ જોઈ શકીએ છીએ. તમે નીચે આ મસ્જિદ અન્ય ચિત્રો જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના નોમિનેશન ફાઈલ કરતી વખતે એકઠા થયેલા લોકોની નથી. આ તસવીર વાસ્તવમાં 2017ની શહીદ દિવસની રેલી દરમિયાન કોલકાતાના ધર્મતલા વિસ્તારમાં આવેલી ભીડની છે. આ ચિત્રને ગુજરાતની આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fact Check: શું ખરેખર ગોપાલ ઇટાલિયાના નામાંકન દરમિયાનની રેલીનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
