મંદિરના પૂજારીઓ અને તપસ્વીઓ વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આ દેશ પૂજારીઓનો નહીં પરંતુ તપસ્વીઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. ઓરિજીનલ વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસને તપસ્વી તેમજ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકોને પૂજારીઓ કહીને વાત કહી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmendra H. Panchal નામના ફેસબુક યુઝર દ્વારા 10 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચૂંટણી ટાણે તિલક કરવાથી કે મંદિર જવાથી કંઈ પંડિત ના થવાય. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આ દેશ પૂજારીઓનો નહીં પરંતુ તપસ્વીઓનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 8 જાન્યુઆરી, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હરિયાણાના સામના ખાતેની એક પત્રકાર પરિષદનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે 37.12 મિનિટ પછી વાયરલ વીડિયો જોઈ શકો છો.

આ પ્રેસ કોન્ફરન્સ જોઈને અમને જાણવા મળ્યું કે, એક પત્રકારના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સંયમનું સંગઠન છે અને ભાજપ પૂજાનું સંગઠન છે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે, આ દેશમાં સંયમનું સન્માન થવું જોઈએ એટલે કે સદગુણ અને કામનું સન્માન થવું જોઈએ. બીજેપી અને આરએસએસનું કહેવું છે કે, તપસ્યાનું સન્માન ન હોવું જોઈએ. તેમની પૂજા કરનારાઓનું સન્માન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ કહે છે કે, તેમની પૂજા કરો, નહીં તો તમને મારી નાખશે. ત્યારે તેમણે કહ્યું કે, આ પૂજા અને તપ વચ્ચેની લડાઈ છે અને કોંગ્રેસ તપસ્યાનું સંગઠન છે. 

આ પછી અન્ય એક પત્રકારે તેમને પૂછ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે લડાઈ તપસ્યાની બની ગઈ છે, રાજકીય નહીં, તો શું તે તપસ્યા છે. તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, તેઓ સંન્યાસી છે, આ દેશ પણ તપસ્વીઓનો છે. જેમ કે લોકો કહી રહ્યા છે કે, જુઓ રાહુલ ગાંધી કેટલા કિલોમીટર ચાલ્યા છે. લોકો કેમ નથી કહેતા કે, જુઓ ખેડૂત કેટલા કિલોમીટર ચાલે છે. ભારતમાં એવો કોઈ ખેડૂત કે મજૂર નથી જેણે તેમનાથી ઓછું કામ કર્યું હોય. લોકો તપશ્ચર્યાનો આદર કરતા નથી, હું કરું છું. જો આ પરિવર્તન લાવવું હોય તો આ દેશ સંન્યાસીઓનો છે, પુજારીઓનો નહીં. આ દેશની વાસ્તવિકતા છે. અને જો ભારતે મહાસત્તા બનવું હોય તો આપણે તપસ્વીઓ એટલે કે ઉત્પાદકોનું સન્માન કરવું પડશે.

આના પરથી અમને વાયરલ વીડિયોનો સંપૂર્ણ સંદર્ભ સમજાયો. વાસ્તવમાં રાહુલ ગાંધી મંદિરના પૂજારીઓની વાત નથી કરી રહ્યા. બીજેપી અને આરએસએસ વિશે વાત કરતી વખતે તેઓ તેમને પૂજારી શબ્દથી સંબોધિત કરી રહ્યા છે.

વાયરલ વીડિયોને કટ કર્યા બાદ શેર કરવામાં આવી રહ્યો છે. નીચે તમે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વાયરલ અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. ઓરિજીનલ વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસને તપસ્વી તેમજ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકોને પૂજારીઓ કહીને વાત કહી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મંદિરના પૂજારીઓ અને તપસ્વીઓ વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By:  Vikas Vyas 

Result: Missing Context