જાણો ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું એવું કહી રહેલા અમિત શાહના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુસ્લિમોને આપવામાં આવેલું આરક્ષણ નાબૂદ કરીને SC, ST અને OBC ને આપવામાં આવશે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમને સંવિધાન બદલવું છે હવે આરક્ષણ પણ નાબૂદ કરવા નું મન બનાવી લીધું છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને આ વીડિયોમાં એક ખૂણા પર V6 News નો લોગો જોવા મળ્યો હતો.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને V6 તેલુગુ ન્યૂઝ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 23 એપ્રિલ, 2023ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના કેપ્શનમાં એવું લખેલું હતું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ મુસ્લિમ આરક્ષણ પર ટિપ્પણી કરી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અમિત શાહે 23 એપ્રિલ, 2023 ના રોજ તેલંગાણાના ચેવેલામાં વિજય સંકલ્પ સભામાં આ નિવેદન આપ્યું હતું.
આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, ભાષણમાં 14 મિનિટ અને 40 સેકન્ડે અમિત શાહ કહી રહ્યા છે કે, “જો ભાજપ સત્તામાં આવશે, તો રાજ્યમાં મુસ્લિમો માટે ગેરબંધારણીય 4 ટકા અનામત સમાપ્ત થઈ જશે. આ અધિકાર તેલંગાણામાં SC, ST અને OBC સમુદાયનો છે અને તેમને આ અધિકાર આપવામાં આવશે. અમે મુસ્લિમ આરક્ષણ ખતમ કરીશું.”
આ નિવેદન તમે અહીં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુસ્લિમોને આપવામાં આવેલું આરક્ષણ નાબૂદ કરીને SC, ST અને OBC ને આપવામાં આવશે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું એવું કહી રહેલા અમિત શાહના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Altered