
હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેરઠ પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ લાગેલુ જોઈ શકાય છે. જેમાં લખેલુ છે કે, “ભાજપાના કાર્યકર્તાઓને સ્ટેશનમાં આવવાની મનાઈ છે. થાણા પ્રબારી શંતશરણ સિંહ.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને પ્રવેશ ન કરવા મનાઈ ફરમાવતુ બોર્ડ લગાવવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કેટલાક અસામાજિક તત્વોએ મેરઠ મેડિકલ સ્ટેશનની બહાર વાંધાજનક બેનર લગાવ્યુ હતું. થોડા સમય બાદ તેને પણ હટાવી લેવામાં આવ્યુ હતુ. આ કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
NareshParmar Vadgam નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને પ્રવેશ ન કરવા મનાઈ ફરમાવતુ બોર્ડ લગાવવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભાસ્કર દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “શુક્રવારે ભાજપના કાર્યકરોએ મેરઠના મેડિકલ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનની બાઉન્ડ્રી વોલ પર એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે બીજેપી કાર્યકર્તાઓને અહીં આવવાની પરવાનગી નથી. આ લાઇનની નીચે થાણેદાર સંત શરણ સિંહનું નામ હતું. સમગ્ર પ્રકરણમાં એસએસપીના નિર્દેશ પર હોર્ડિંગ્સ લગાવનારા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.”

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અમને મેરઠ પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પ્રસારિત કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પોલીસ સ્ટેશન મેડિકલ વિસ્તારમાં ભાઈ-ભાભી વચ્ચે ચાલી રહેલા પારિવારિક વિવાદમાં, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર વ્યવસાય બદલવા માટે અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યુ હતું. જ્યારે પોલીસ સ્ટેશને આ ગેરકાયદેસર કામમાં સહકાર ન આપ્યો, ત્યારે આ અસામાજિક તત્વોએ જાતે જ પોલીસની છબી ખરાબ કરવા માટે પોસ્ટર બનાવીને તેને લગાવ્યુ હતુ. જેના પર લખવામાં આવ્યું હતું કે કોઈ રાજકીય પક્ષને પોલીસ સ્ટેશનમાં આવવાની પરવાનગી નથી. આ કેસમાં કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમનો ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે. નિયમ મુજબ કેસ નોંધ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
તેમજ મેરઠ પોલીસ દ્વારા એક વિડિયો નિવેદન પ્રસારિત કરીને માહિતી આપવામાં આવી હતી કે, “મેડિકલ પોલીસ સ્ટેશન પર હંગામો મચાવવા અને વાંધાજનક બેનરો લગાવવાના સંબંધમાં કલમ 147/352/353/505(2) અને 7 CLA એક્ટ હેઠળ વિડિયો ફૂટેજના આધારે આરોપી 1. શંભુ પહેલવાન ઉર્ફે પ્રશાંત કૌશિક, 2 સાગર પોસવાલ, 3. કુલદીપ મસૂરી, 4. અંકુર ચૌધરી, 5. અમિત ભદાના, 6. અમર શર્માની ધરપકડ કરવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેટલાક અસામાજિક તત્વોએ મેરઠ મેડિકલ સ્ટેશનની બહાર વાંધાજનક બેનર લગાવ્યુ હતું. થોડા સમય બાદ તેને પણ હટાવી લેવામાં આવ્યુ હતુ. આ કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.

Title:શું ખરેખર મેરઠમાં પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોએ પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
