
Gujaratimidday.com નામના ફેસબુક પેજ દ્વારા 29 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક આર્ટિકલ મૂકવામાં આવ્યો છે જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ‘ગુલામ‘માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, વીડિયો વાયરલ… #JavedHyder #TikTokVideo #ViralVideo #CoronaVirusEffect #MidDayGujarati. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુલામ ફિલ્મમાં આમીર ખાન સાથે કામ કરી ચૂકેલો એક્ટર જાવેદ હૈદર આર્થિક મંદીને કારણે શાકભાજી વેચવા પર મજબૂર બન્યો છે. આ પોસ્ટને 3 લોકોએ લાઈક કરી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર એક્ટર જાવેદ હૈદર આર્થિક મંદીને કારણે હાલમાં શાકભાજી વેચવા મજબૂર બન્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને janmabhoominewspapers.com દ્વારા 30 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં જાવેદ હૈદર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હું શાક વેચતો નથી. મારો વ્યવસાય અભિનય કરવાનો જ છે. શાક વેચવાનો વિડિયો તે માત્ર એક અભિનય હતો અને હું આ ટિકટોક વિડિયો દ્વારા મારા ફૉલોઅર્સને કહેવા માગતો હતો કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. મને ખ્યાલ નહોતો કે મારા વિડિયોથી લોકો મને શાક વેચનાર સમજશે. ડોલી બિન્દરાજીએ આ વિડિયો સોશિયલ મિડિયા પર મૂકીને મારા શાક વેચવાના દિવસો આવી ગયા એવું લખ્યું હતું. મેં તેમની ભૂલ સુધારી હતી અને કહ્યું હતું કે, મેં તો માત્ર અભિનય કરવા પૂરતો જ વિડિયો બનાવ્યો હતો. પરંતુ લોકોએ મારા તે ખુલાસાને જોયો નહીં અને રાતોરોત વિડિયો વાઈરલ કરી દીધો. ઈશ્વરની કૃપાથી હજુ થોડા મહિના કામ નહીં મળે તો પણ હું સામાન્ય જીવન જીવી શકીશ. અને જો કદાચ ભવિષ્યમાં મારે શાક વેચવાનો વારો આવે તો પણ મને તેમાં શરમ નહીં લાગે.
બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર જાવેદ છેલ્લા 23 વર્ષથી બોલીવૂડમાં છે અને તેણે 300થી અધિક ફિલ્મમાં અભિનય કર્યો છે.

ABP News દ્વારા પણ 30 જૂન, 2020 ના રોજ તેના સત્તાવાર યુટ્યુબ હેન્ડલ પર એક વીડિયો સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં પણ અભિનેતા જાવેદ હૈદર પોતે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને અભિનેતા જાવેદ હૈદરે દ્વારા 29 જૂન, 2020 ના રોજ ટાઇમ્સ અખબાર જૂથને એક ઇન્ટરવ્યૂ (સંગ્રહ) આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે, હું સારી આર્થિક સ્થિતિમાં છું અને મેં આ વીડિયો ટિકટોક માટે બનાવ્યો છે. તમે નીચે તેઓએ શું કહ્યું તે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા જાવેદ હૈદર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યા છે એ માહિતી તદ્દન ખોટી છે. જાવેદ હૈદર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા જાવેદ હૈદર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યા છે એ માહિતી તદ્દન ખોટી છે. જાવેદ હૈદર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
