અમદાવાદ એએમટીએસમાં બસમાં લાગેલી આગમાં કોઈ જાન-હાની નથી થઈ, આ મેસેજ તદ્દન ખોટો છે. જેની પૃષ્ટી પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી. આ મેસેજને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

સોમવારે સવારે અમદાવાદના સોલાભાગવત વિસ્તારમાં એએમટીએસની લાલ બસમાં અચાનલ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આગના ગોટે ગોટા હવામાં ઉડયા હતા. આ ઘટનાને લઈ સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ AMTS બસની આગની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા અને 27 લોકો ઘાયલ થયા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ AMTS બસની આગની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા અને 27 લોકો ઘાયલ થયા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સંદેશ ન્યૂઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સોલા સિવિલ હોસ્પિટલ પાસે એએમટીએસ બસમાં આગ લાગી હતી પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
તેમજ ન્યુઝ18 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા ન્યુઝ 18 ગુજરાતીની વેબસાઈટ પર પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રૂટ 501ની બસ TAM 39 અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જતી હતી. આ દરમિયાન સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે બસ તાકીદે સાઇડમાં કરીને ઊભી રાખી હતી. જે બાદ પ્રવાસીઓને નીચે ઉતારી પછી મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી. જોકે, થોડી જ વારમાં આગ ચાલુ થઈ જતા કંડક્ટરે તરત ઇમરજન્સી 112 માં ફોન કરીને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર, સીલિંગ સળગી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે આવેલ છે. AMTS ફ્લાઈંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપરવાઇઝર સ્થળ પર હાજર છે.”

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે એમ ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને પૃષ્ટી કરી હતી કે, “આ બસમાં લાગેલી આગના અકસ્માતમાં કોઈનું મૃત્યુ નથી, તેમજ કોઈ ઈજાગ્રસ્ત પણ નથી થયુ, આ મેસેજને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદ એએમટીએસમાં બસમાં લાગેલી આગમાં કોઈ જાન-હાની નથી થઈ, આ મેસેજ તદ્દન ખોટો છે. જેની પૃષ્ટી પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી. આ મેસેજને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:અમદાવાદ AMTS બસમાં આગ લાગવામાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


