
દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારી “જય જવાન, જય કિસાન” ના નારા લગાવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝીપુર બોર્ડર ખાતે પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં “જય જવાન, જય કિસાન” ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ખેડૂતો દ્વારા સૂચિત કરેલા માર્ગ પર રેલી ન નીકાળવામાં આવતાં પોલીસ દ્વારા તેમને રેલીના સૂચિત માર્ગ પર પાછા જવા અને શાંતિ જાળવવા માટે “જય જવાન, જય કિસાન” ની નારેબાજી સાથે અપીલ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 30 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બધાં જ પોલીસવાળા સરકારનાં ગુલામ નથી હોતા તેનો તાજો દાખલો. યુપીમાં ગાઝીપુર બોર્ડરે યુપી પ્રશાસને નિયુક્ત કરેલા પોલીસ દળનાં મુખ્ય અધિકારીને ખેડૂતો વિરુદ્ધ સરકારની કપટભરી રાજનીતિનો ખ્યાલ આવી જતા અધિકારીનું ઝમીર જાગી ઉઠ્યું અને અધિકારી સહિત આખા પોલીસ દળે કિસાનોનાં સમર્થનમાં નારેબાજી કરી. મીડિયાએ આ ઘટનાને કવરેજ નથી આપ્યું પરંતુ સરકારી પ્રશાસનને આ ઘટનાની માહિતી મળતાં જ ગાઝીપુર બોર્ડરેથી પોલીસ દળને હટાવી લીધું હતું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝીપુર બોર્ડર ખાતે પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં “જય જવાન, જય કિસાન” ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને India TV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 27 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉગ્ર બનતાં દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવા “જય જવાન, જય કિસાન” ની નારેબાજી કરવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર The Logocal Indian દ્વારા પણ 29 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો દ્વારા સૂચિત કરેલા માર્ગ પર રેલી ન નીકાળવામાં આવતાં પોલીસ દ્વારા તેમને રેલીના સૂચિત માર્ગ પર પાછા જવા માટે “જય જવાન, જય કિસાન” ની નારેબાજી સાથે અપીલ કરવામાં આવી હતી.
ઉપરોક્ત વીડિયોમાં પોલીસ અધિકારી એવું કહી રહ્યા છે કે, इन्हें शांति से समझाइए वर्ना ये हमारी ऊपर चढ़ जाएंगे. જેનો ગુજરાતી અનુવાદ એવો થાય કે, ખેડૂતોને શાંતિથી સમજાઓ નહીં તો એ આપણી ઉપર ચડી જશે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો પ્રસાર ભારતી નામની ન્યૂઝ એજન્સી દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એવી જ માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર સુરેન્દ્રસિંહ યાદવ દ્વારા 26 મી જાન્યુઆરીના રોજ રેલી દરમિયાન ખેડૂતોની શાંતિ જાળવવા માટે “જય જવાન, જય કિસાન” ના નારા સાથે અપીલ કરવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો દ્વારા સૂચિત કરેલા માર્ગ પર રેલી ન નીકાળવામાં આવતાં પોલીસ દ્વારા તેમને રેલીના સૂચિત માર્ગ પર પાછા જવા અને શાંતિ જાળવવા માટે “જય જવાન, જય કિસાન” ની નારેબાજી સાથે અપીલ કરવામાં આવી હતી.

Title:શું ખરેખર ગાઝીપુર બોર્ડર પર પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
