
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાય રહ્યો છે અને લોકો ભાગતા જોવા મળે છે અને એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારી રહ્યો છે આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં કંડલામાં આવેલા વાવાઝોડાનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા વાવાઝોડાનો નથી. પરંતુ જૂન 2019માં આવેલા વાયુ વાવાઝોડા દરમિયાનનો છે. હાલમાં આવેલા “તાઉ કે” વાવાઝોડા સાથે તેનો કોઈ સબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Crime Padakar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં કંડલામાં આવેલા વાવાઝોડાનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ જ વિડિયો 13 જૂન 2019ના રોજ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ વિડિયો અને આ જ વ્યક્તિ વિડિયો ઉતારી રહ્યો હોવાનું જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે કચ્છ જિલ્લા ક્લેક્ટર પ્રવિણા ડીકેના પીએનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો હાલમાં આવેલા વાવાઝોડાનો નથી. આ વિડિયો જૂનો છે. હાલમાં આ પ્રકારના દ્રશ્યો હજુ સુધી કંડલા પોર્ટ પર સર્જાયા નથી. લોકોની તમામ પ્રકારની સુરક્ષાઓ કરવામાં આવી રહી છે.”
તેમજ અમે કંડલા પોર્ટ પર હાજરા સંદેશ ન્યુઝ ચેનલના રિપોર્ટર અલ્પેશ ગૌસ્વામીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો હાલનો નથી. વાયુ વાવાઝોડા દરમિયાનનો છે. તેમજ આ પ્રકારના દ્રશ્યો હાલમાં ન સર્જાયા હોવાનું પણ તેમણે અમને જણાવ્યુ હતુ. તેમજ હાલના કંડલા પોર્ટ પરના દ્રશ્યો તેમણે અમને મોકલાવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં આવેલા વાવાઝોડાનો નથી. પરંતુ જૂન 2019માં આવેલા વાયુ વાવાઝોડા દરમિયાનનો છે. હાલમાં આવેલા “તાઉ કે” વાવાઝોડા સાથે તેનો કોઈ સબંધ નથી.

Title:શું ખરેખર હાલમાં કંડલામાં પોર્ટમાં આવેલા વાવાઝોડાના દ્રશ્યો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
