
હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાયનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ગાય ને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગાયની કિંમત 12 કરોડ રૂપિયા છે. જે દરરોજ લગભગ 100 લીટર દૂધ આપે છે. આ પુંગનુર ગાય છે. આ ગાયના દૂધથી જ તિરૂપતિમાં ભગવાનનો અભિષેક થાય છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, તિરૂપતિ તિરુમલ્લા દેવસ્થાન માત્ર પુંગનુર જ નહીં પરંતુ અન્ય જાતિના ગાયના દૂધનો પણ ઉપયોગ કરે છે. પુંગનુર ગાય માત્ર 6 થી 7 લીટર દૂધ આપે છે. તેની કિંમત 12 કરોડ નહીં પરંતુ એક થી દોઢ લાખની આસપાસ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Viren V. Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ગાયની કિંમત 12 કરોડ રૂપિયા છે. જે દરરોજ લગભગ 100 લીટર દૂધ આપે છે. આ પુંગનુર ગાય છે. આ ગાયના દૂધથી જ તિરૂપતિમાં ભગવાનનો અભિષેક થાય છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે તસવીરમાં દેખાતી ગાય કયા પ્રકારની ગાયની છે તે જોવા અમે શોધ કરી. જ્યારે અમે રિવર્સ ઇમેજ સર્ચના માધ્યમથી સર્ચ કર્યુ ત્યારે અમને એશિયાની રાણી લેબલવાળી ગાયની તસવીરો મળી. અમે તેનો કીવર્ડ તરીકે ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કર્યું. પછી અમને ઉપરના ચિત્રની જેમ ગાયોના ફોટા મળ્યા હતા.
વધુ શોધ પર, અમને ઉપરના ફોટોમાં જોવા મળતી ગાયનો વિડિયો મળ્યો. તેમાં પાકિસ્તાનની રાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિડિયોમાં લોકો જે કપડા પહેરેલા છે તે પાકિસ્તાનીઓના કપડા જેવા જ હતા. તેનાથી પુષ્ટિ થાય છે કે ગાય પાકિસ્તાનની છે.
અમે તિરૂપતિ તિરૂમલ્લા દેવસ્થાનની વેબસાઈટની પણ મુલાકાત લીધી. અહીં એક ટ્રસ્ટ દ્વારા ગૌરક્ષાનું કામ થતું હોવાનું જોવા મળ્યુ હતુ. તેમાં તિરૂપતિમાં અત્યાધુનિક ગૌશાળા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં, એસવી ડેરી ફાર્મ તિરૂપતિ દેવસ્થાનમને દૂધ અને દહીં સપ્લાય કરતું હોવાનું કહેવાય છે.

તેમજ અમારી પડતાલને મજબૂત બનાવવા માટે અમે તિરૂમાલા બોર્ડનાના ચેરમેન વાય.વી.સુબારેડ્ડીનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કોઈ એક પ્રકારની ગાયનું જ દૂધ મંદિરમાં ભગવાનને ધરવામાં આવતુ હોય તે વાત તદ્દન ખોટી છે. મંદિર પાસે ઘણી પ્રકારની ગાયો છે અને તમામ પ્રકારની ગાયોનું દૂધ ભગવાનને ધરવામાં આવે છે.”
તેમજ જમીન અને ગાય બાબતે ખૂબ જ માહિતી ધરાવતા અને જાણીતા ગૌરક્ષ ઇશ્વરભાઈ પટેલનો અમે સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની ગાયો આપણા ભારત દેશમાં ખૂબ ઓછી જોવા મળે છે. તેમજ આ ગાય દિવસનું માત્ર 6 થી 7 લિટર જ દૂધ આપતી હોય છે. તેથી ખેડૂતો અને પશુપાલકો આ ગાયોને ઓછી વસાવે છે. તેમજ આ ગાયની કિંમત 1 થી 1.50 લાખ રૂપિયા જ હોય છે. 12 કરોડ હોવાની વાત તદ્દન ખોટી છે.”
તેમજ આ મેસેજ વર્ષ 2019માં પણ વાયરલ થયો હતો. જેનું ફેક્ટચેક મરાઠી ભાષામાં ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તિરૂપતિ તિરુમલ્લા દેવસ્થાન માત્ર પુંગનુર જ નહીં પરંતુ અન્ય જાતિના ગાયના દૂધનો પણ ઉપયોગ કરે છે. પુંગનુર ગાય માત્ર 6 થી 7 લીટર દૂધ આપે છે. તેની કિંમત 12 કરોડ નહીં પરંતુ એક થી દોઢ લાખની આસપાસ છે.

Title:તિરૂપતિ મંદિરમાં દૂધ સપ્લાય કરતી ગાયો અંગે કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
