
Viraltoo નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, 15 દિવસ માં ગમે તેવું થાઈરોઈડ ખતમ કરે ફક્ત આ 2 ઈલાજથી શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 3700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 15 દિવસમાં થાઈરોઈડ જડમુળ માંથી ખતમ થઈ જાય છે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારનો ઈલાજ શોધવામાં આવ્યો હોય અથવા આ ઈલાજનો કોઈ વ્યક્તિને ફાયદો થયો હોય તો ગૂગલ પર તેની માહિતી હોવી જ જોઈએ તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર “થાઈરોઈડ માટે દેશી ઈલાજ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉપચાર કરવામાં આવ્યો હોય અથવા શોધવામાં આવ્યો હોય તેના કોઈ પુરવા મળ્યા ન હતા. તપાસને આગળ વધારતા અમે યુટ્યુબ પર આ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા નુસકા મુજબનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ આ નુસકો કોઈએ અપનાવ્યો હોય તેવુ અમને ક્યાંય જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી તપાસ આગળ વધારી અને આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા સાથે આ અંગે આ વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તમે જે વાત કરી રહ્યા છો તે રીતે શક્ય જ નથી. 15 દિવસમાં આ પ્રકારે થાઈરોઈડને મટાડી શકવો શક્ય જ નથી. આ અંગે શાસ્ત્રમાં પણ ક્યાંય લખવામાં નથી આવ્યું”

ઉપરાંત અમે આ અંગે એલોપેથીના ડોકટરનું મંતવ્ય લેવાનો નિર્ણય કર્યો હતો અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર કૃણાલ સોલંકી સાથે આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “એલોપેથીમાં પણ આ પ્રકારના ઉપચારનો ક્યાંય ઉલ્લેખ નથી. થાયરોઈડ પ્રમાણે તેના પીડિત દ્વારા જૂદા-જૂદા પાવરની દવા લેવી ફરજિયાત છે.”

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા નુસખા પ્રમાણેનો કોઈ ઉપચાર શોધવામાં આવ્યો હોય અથવા કોઈ વ્યક્તિને તેનાથી લાભ થયો હોય તે સાબિત થતુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દાવા પ્રમાણેનો કોઈ ઉપચાર અમને જાણવા મળ્યો ન હતો. તેમજ તેનાથી કોઈ વ્યક્તિનો ફાયદો થયો હોય તે પણ જાણવા મળ્યુ ન હતુ.

Title:શું ખરેખર 15 દિવસમાં થાઈરોડ જડમુળ માંથી મટી જશે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
