
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ પણ સરકાર બનાવી હતી. જ્યાના મુખ્યમંત્રી ભગવત માનના શપથ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ વચ્ચે અરવિંદ કેજરીવાલનો અને ભગવત માનનો એક ફોટો વાયરલ થાય છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 13 માર્ચે લેવામાં આવ્યો હતો, જ્યારે કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરના જલિયાવાલા બાગની મુલાકાતે ગયા હતા. બંનેએ 16 માર્ચે ખટકર કલાનમાં ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. જે સમયે કેજરીવાલે શુઝ પહેર્યા ન હતા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાગરણ નો 14 માર્ચ 2022નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબના ભાવિ મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન, પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે શ્રી હરિમંદિર સાહિબમાં દર્શન કરવા પહોંચ્યા. ચૂંટણીમાં જોરદાર જીત બાદ આમ આદમી પાર્ટીના બંને નેતાઓ વાહે ગુરૂનો આભાર માનવા હરિમંદિર સાહિબ પહોંચ્યા હતા.”

ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ ફોટો 13 માર્ચે લેવામાં આવ્યો હતો, જે દિવસે કેજરીવાલ અને માન અમૃતસરના સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ અને દુર્ગિયાના મંદિરની મુલાકાત લીધી હતી.
જે ક્લુનો ઉપયોગ કરી અને અમે સર્ચ કરતા અમને સવેરા પંજાબ નામના મિડિયા હાઉસના ફેસબુક પેજ પર અરવિંદ કેજરીવાલની આ મુલાકાતનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જલિયાવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની લાઈવ તસવીરો.” જેમાં 6.20 મિનિટ બાદ તમે ફોટો માંના દ્રશ્યો જોઈ શકો છો.
તેમજ વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાગરણનો જ 16 માર્ચ 2022નો અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કેજરીવાલ 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાનમાં હાજર હતા. તેઓ ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં હતા.”
તેમજ આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશના ઓફિશિયલ ફેસબુક પેજ પરનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન શહીદ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.”
તેમજ શહિદ ભગતસિંહના સ્મારક પર ફુલ અર્પણ કરતી વેળાએ કેજરીવાલે શુઝ ન પહેર્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 13 માર્ચે લેવામાં આવ્યો હતો, જ્યારે કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરના જલિયાવાલા બાગની મુલાકાતે ગયા હતા. બંનેએ 16 માર્ચે ખટકર કલાનમાં ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. જે સમયે કેજરીવાલે શુઝ પહેર્યા ન હતા.

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલ ભગતસિંહ સ્મારકમાં શુઝ પહેરીને ગયા હતા…?
Fact Check By: Yogesh KariaResult: False
