
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લોકોનું ટોળુ કોઈ ધાર્મિક સ્થળ પર એકઠુ થયેલુ જોવા મળ્યુ છે અને પોલીસ અધિકારીને ધક્કે ચડાવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લગ્ન(શાદી) સમારોહમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લગ્ન બંધ કરવવા ગયેલી પોલીસ પર હુમલો નથી કરવામાં આવ્યો પરંતુ વિડિયોમાં ધાર્મિક સ્થળ પર થયેલા વિવાદને થાળે પાડવા ગયેલી પોલીસને ધક્કે ચડાવવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Deven Rudransh નામના ફેસબુક યુઝર દ્વારા Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર તારીખ 6 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લગ્ન(શાદી) સમારોહમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા વિડિયોમાં એક પોલીસ કર્મીનો બેજ જોતા તે મહારાષ્ટ્ર પોલીસનો બેજ છે. આ વિડિયોની ગુણવત્તામાં સુધારો કરીને તે જોઇ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત ક્લુ(કડી)ના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઈન્ડિયા ટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મહારાષ્ટ્રના મલંગગઢમાં મછિંદરનાથ સમાધિ સ્થળે આરતી દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ‘અલ્લાહ-હુ-અકબર’નો જાપ કર્યો હતો. કલ્યાણ પૂર્વના મલંગગઢ સ્થિત મછિંદરનાથ સમાધિ સ્થળે માઘા પૂર્ણિમા નિમિત્તે હિન્દુ સમુદાયના આશરે 50 થી 60 લોકો આરતી કરવા ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના નેતાઓના આગ્રહથી આ લોકોને આરતી કરવાની છૂટ આપવામાં આવી હતી કારણ કે કોરોનાને કારણે આ વખતે વધુ લોકોને એકત્રીત થવાની મંજૂરી નથી.”
નેશનલ મિડિયાના અહેવાલો અનુસાર, આ સ્થળ મંદિર નહીં પણ હાજી અબ્દુરહમાન મલંગ નામના સુફી સંતની દરગાહ છે. આ દરગાહના રખેવાળ કેતન નામના બ્રાહ્મણ પરિવારના સભ્યો છે. કહેવાય છે કે, આ દરગાહ આ પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી. 1953 માં, સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં, આ સ્થળને દરગાહ તરીકે જાહેર કર્યું હતુ.
ટાઈમ્સ નાઉ દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વિડિયો અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમને હેડલાઈન્સ18 નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ સ્થળ પર જ્યારે પરિસ્થિતી ખરાબ થઈ હતી તે વખતે પોલીસે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ મુસ્લિમ બાજુના લોકોએ પોલીસકર્મીનો કોલર પકડીને દબાણ કર્યું. પોલીસે આ કેસમાં મુસ્લિમ પક્ષમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આરતીના અનેક આયોજકો વિરૂદ્ધ પણ કોવિડ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 28 માર્ચે રાત્રે 8 વાગ્યે બની હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લગ્ન બંધ કરવવા ગયેલી પોલીસ પર હુમલો નથી કરવામાં આવ્યો પરંતુ વિડિયોમાં ધાર્મિક સ્થળ પર થયેલા વિવાદને થાળે પાડવા ગયેલી પોલીસને ધક્કે ચડાવવામાં આવી હતી.

Title:શું ખરેખર લગ્ન(શાદી)માં ગાઈડલાઈનનું પાલન કરવવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
