
વિકાસ નું બેસણું નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો AMU નો છે અને જ્યાં પોલીસ દ્વારા તેનો ગેટ તોડવામાં આવી રહ્યો છે. આ પોસ્ટને 344 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 142 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયોમાં બતાવ્યા મુજબ પોલીસ દ્વારા જ AMU નો ગેટ તોડવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને jk24x7news.tv દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે CAA અને NRC ના વિરોધ પ્રદર્શનમાં 15 ડિસેમ્બર, 2019 ના રોજ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં અલીગઢ યુનિવર્સિટીનો ગેટ તોડવાનો આરોપ પોલીસ પર મૂકવામાં આવ્યો હતો. પરંતુ નીચેના સમાચારમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગેટ પોલીસ દ્વારા નહીં પરંતુ યુનિવર્સિટીના અંદરથી પ્રદર્શનકારીઓ દ્વારા જ ધક્કા મારીને તોડવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો ગેટ પોલીસ દ્વારા નહીં પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા જ તોડવામાં આવ્યો હોવાની માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | legendnews.in | hindi.news18.com
અમારી વધુ તપાસમાં અમને UP POLICE દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, કોઈ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા AMU નો ગેટ તોડવામાં નથી આવ્યો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમને UP Tak નામની સમાચારની એક યુટ્યુબ ચેનલ પર પણ 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, નીચેના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, AMU નો ગેટ પોલીસ દ્વારા નહીં પરંતુ યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ દ્વારા જ તોડવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા ગેટની બહારની બાજુ પર ગેટ તૂટે નહીં એ માટે બેરિગેટ મૂકવામાં આવ્યા હતા. પરંતુ અંદરની બાજુએથી પ્રદર્શનકારીઓ દ્વારા જોરથી ધક્કા મારીને ગેટ તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફ્ક્ત બેરિગેટ પર જ હાથ લગાવવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
AMU નો ગેટ પોલીસે નહીં પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા જ તોડવામાં આવ્યો હોવાના એક અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Jagran
ઉપરોક્ત વીડિયો પરથી વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, અલીગઢ શહેરના એસ.પી. અભિષેક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસ દ્વારા ગેટ તોડવામાં નથી આવ્યો પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા અંદરથી ધક્કા મારીને ગેટ તોડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને પગલે જે કોઈ ગુનેગાર સાબિત થશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
વધુમાં અલીગઢના એસ.એસ.પી. આકાશ કુલ્હારી દ્વારા પણ આ મામલે જણાવવામાં આવ્યું હતું કે, “અલીગઢ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ જ્યારે હિંસક પ્રદર્શન પર ઉતર્યા ત્યારે જ પોલીસ દ્વારા આત્મરક્ષણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઉપરાંત AMU ના વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ દ્વારા જ ગેટ તોડવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ અમે અમારા તમામ પુરાવા રજૂ કર્યા છે. જે પણ દોષિત હશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ AMU નો ગેટ પોલીસ દ્વારા નહીં પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા તોડવામાં આવ્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ AMU નો ગેટ પોલીસ દ્વારા નહીં પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા તોડવામાં આવ્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
