
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સોમાલિયાથી બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાનો છે. જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જેને કારણે માણસનું કેળુ ખાધા બાદ 12 કલાકમાં જ મૃત્યુ થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અંગે અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી ખોટી હોવાની જાણકારી વર્ષ 2021 માં આપી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vijay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નમસ્કાર મિત્રો. કૃપા કરીને આ વિડિયોને બને તેટલો ફેલાવો. તાજેતરમાં, સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા હતા, જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જે ઝેરી કેળાને પેટમાં છોડે છે, જે પછી નીચેના લક્ષણો (ઝાડા, ઉલટી, ઉબકા, માથાનો દુખાવો) દર્શાવે છે અને 12 કલાક પછી વ્યક્તિ મૃત્યુ પામે છે. મગજ મૃત્યુ થી. કૃપા કરીને આ દિવસોમાં કેળા ખરીદવા અને ખાવાનું ટાળો, અથવા જો તમે ખરીદો છો, તો તેને અંદરથી ખોલવાની ખાતરી કરો. વિડીયો જુઓ.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સોમાલિયાથી બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાનો છે. જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જેને કારણે માણસનું કેળુ ખાધા બાદ 12 કલાકમાં જ મૃત્યુ થાય છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ ભારતમાં સોમાલિયાથી કેળા આયાત કરવામાં આવ્યા હોય એવો કોઈ જ અહેવાલ કે સમાચાર પ્રાપ્ત થયા નહતા. ત્યાર બાદ અમે કેળામાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોવા અંગે સર્ચ કરતાં અમને ખલીજ ટાઈમ્સ દ્વારા 1 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અંગે એવું જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સોમાલિયન કેળા અંગેનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેની સાથે જે માહિતી આપવામાં આવી છે એ તદ્દન ખોટી અને ભ્રામક છે.

યુએઈ સ્થિત મીડિયા હાઉસ UAE BARQ દ્વારા 1 નવેમ્બર, 2021 ના રોજ એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં તમે અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા વાયરલ વીડિયો ખોટો હોવા અંગેનું નિવેદન આપવામાં આયું હતું.
વધુમાં અમને રિયાધ ખાતેના કાર્સિનોજેન્સ રિસર્ચર પ્રો. ફાઅદ અલ ખુદૈરી દ્વારા પણ વાયરલ વીડિયો અને માહિતી ખોટી હોવા અંગેની ટ્વિટ 30 ઓક્ટોમ્બર, 2021 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પરથી કરવામાં આવી હતી.

અમારી વધુ તપાસમાં અમને timeslive.co.za દ્વારા 9 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેના પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, આફ્રિકામાં પણ આ દાવો શેર કરવામાં આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકામાં કૃષિ, જમીન સુધારણા અને ગ્રામીણ વિકાસ વિભાગે પણ દાવાને નકારતું નિવેદન બહાર પાડ્યું છે.
અમારી વધુ તપાસમાં અમને ભારતમાં આયાત-નિકાસ કરતી વાણિજ્ય વિભાગની વેબસાઈટ પર પણ અમને ક્યાંય સોમાલિયાથી કેળા આયાત કરવામાં આવ્યા હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અંગે અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી ખોટી હોવાની જાણકારી વર્ષ 2021 માં આપી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:સોમાલિયાથી ભારતના બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
