
Niket Update નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “108ના ડ્રાઈવર નું કોલ રેકોર્ડિગ સુરત માં કોરોના વધી રાયો છે સુરત ની હાલત ખરાબ છે જોવો શુ કહે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 3 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “108ના ડ્રાઈવર દ્વારા સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા 70-80 દર્દીઓની લાશ જોઈ હતી.”
FACEBOOK | FB POST ARCHIVE | FB AUDIO ARCHIVE
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ઓડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તેમાં પણ કોરોનાની આ સ્થિતી જાણી લોકોમાં ડરનો માહોલ પણ ફેલાયો હતો. ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ 18 ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે 108ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર વ્યક્તિ ખરેખર એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.”
ત્યારબાદ અમે સુરત ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને આ જ માહિતી આપી હતી. તેમજ આ અંગેની પ્રેસનોટ પણ અમને મોકલી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓડિયો ક્લિપ વાયરલ કરનાર વ્યક્તિ 108નો ડ્રાઈવર નથી. તેમજ આ પ્રકારે ખોટી અફવા ફેલાવવા બદલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેના સહિત 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

Title:શું ખરેખર સુરતમાં 108ના ડ્રાઈવર દ્વારા 70-80 કોરોના દર્દીની લાશો જોઈ હતી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
