
Vikramsinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર પોલીસ જાહેર ચેતવણી જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ: 5-5-2020ને મંગળવાર સાંજે 7 વાગ્યાથી રાત્રે 12-00 કલાલ સુધીમાં દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ કરવા આવી શકે છે. આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિંગમાં બેઠેલ પકડાશે તો જ્યાં સુધી લોકડાઉન જાહેર કરેલ છે ત્યાં સુધી જામીન મળશે નહિ.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગર પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે સાંજના 7 થી રાત્રીના 12 વાગ્યા દરમિયાન જો કોઈ જોવા મળશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને લોકડાઉન જાહેર કરેલ છે ત્યાં સુધી તેમને જામીન પણ નહિં મળે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “જામનગરના લોકોને પોલીસ દ્વારા ચેતવણી અપાઈ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જામનગરના સ્થાનિક મિડિયા Mysamachar.inનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો નથી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા લોકોને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.”

જામનગરના અન્ય સ્થાનિક મિડિયા ખબર ગુજરાત દ્વારા પણ જામનગર જિલ્લા પોલીસ વડાના નિવેદન સાથે આ મેસેજ ખોટો હોવાનું જણાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ સુચના આપવામાં આવી નથી. આ પ્રકારની સોશિયલ મિડિયાની અફવાઓથી લોકોને દૂર રહેવા અનુરોધ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જેની સ્પષ્ટતા જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે.

Title:જામનગર પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપવામાં નથી આવી… જામનગર પોલીસના નામે અફવા ફેલાવાઈ…
Fact Check By: Yogesh KariaResult: False
