
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વારાણસી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સ્પર્શ દર્શન માટે 500 રુપિયા ચાર્જ વસુલવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું મંદિર પ્રશાસન તેમજ કમિશનર દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. તેમજ આ અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vibes of India ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 13 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સ્પર્શ દર્શન માટે 500 રુપિયા ચાર્જ વસુલવામાં આવશે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને દૈનિક ભાસ્કર દ્વારા આજ મામલા પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં આવતો નથી. મંદિર પ્રશાશન દ્વારા આ પ્રકારની અફવા ફેલાવવા બદલ 9 લોકો સામે FIR નોંધાવી છે.
મંદિરના પીઆરઓ અરવિંદ શુક્લા દ્વારા ચૌક પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અનુસાર અજય શર્મા નામના વ્યક્તિ દ્વારા 2 માર્ચના રોજ 500 રુપિયા દાન આપેલી પાવતી સ્પર્શ દર્શનના શુલ્કના નામે સોશિયલ મીડિ. પર વાયરલ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિવાકાન્ત મિશ્રાએ આ મુદ્દે કલમ 153, 295, 506, 120 બી આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ મુદ્દે મંદિર ન્યાસના અધ્યક્ષ કૌશલ રાજ શર્મા દ્વારા પણ આ માહિતીનું ખંડન કરવામાં આવ્યું હતું. તેઓએ આ મહિતીને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને કમિશનર દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News Express | News State
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારીએ અમને જણાવ્યું હતું કે, “મંદિરમાં સ્પર્શ દર્શન માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં નથી આવતો. વાયરલ થઈ રહેલી માહિતી એક અફવા છે અને પ્રશસન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું મંદિર પ્રશાસન તેમજ કમિશનર દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. તેમજ આ અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Title:કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન માટે 500 રુપિયા ચૂકવવા પડશે… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
