
પંજાબના પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શનને લઈને એક સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર પેંશન બંધ નથી કર્યુ પરંતુ સરકાર દ્વારા 5-7 ટર્મના પેંશન આપવાના બદલે હવે એક જ ટર્મનું પેંશન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા સમગ્ર પેંશન અટકાવવામાં નથી આવ્યુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhushan Soni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.”
તેમજ ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ માહિતી સાથે તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી આ માહિતી ને પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટીવીનાઈન હિંદીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ઘણી વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને દરેક ટર્મ માટે પેન્શન નહીં મળે. માત્ર એક ટર્મનું જ પેન્શન આપવામાં આવશે. તેમના પરિવારને આપવામાં આવતું પેન્શન પણ કાપવામાં આવશે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને આમ આદમી પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનું એક નિવેદન પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “બેરોજગારી એક મોટી સમસ્યા છે. છોકરા-છોકરીઓ ડીગ્રી લઈને ઘરે પાછા વળ્યા. ડીગ્રી લઈને નોકરી માંગવા જાય છે ત્યારે લાઠીચાર્જ થાય છે. પાણીના ફુવારાઓ છોડવામાં આવે છે. નોકરીઓ મળતી નથી. અમે આ મામલે ખૂબ જ મોટા પગલા લઈ રહ્યા છીએ. પરંતુ હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું તે બીજા મુદ્દા પર છે. આપણા તમામ રાજકીય લોકો, ધારાસભ્યો. તેઓ લોકોને સેવા કરવાની તક આપવા માટે હાથ જોડીને મત માંગે છે. તમને આશ્ચર્ય થશે કે ઘણા ધારાસભ્યો, જેમાંથી કેટલાક ત્રણ વખત જીત્યા છે, હાર્યા છે, ચાર વખત જીત્યા છે, ટિકિટ નથી મળી, પાંચ વખત જીત્યા છે, છ વખત જીત્યા છે, વિધાનસભામાં આવ્યા નથી. તેને લાખો રૂપિયાનું પેન્શન મળે છે. તે પણ દર મહિને. કોઈ 3.50 લાખ તો કોઈ 4.50 લાખ. કોઈને સાડા પાંચ લાખ પણ મળે છે. જેથી તિજોરી પર કરોડો રૂપિયાનો બોજ છે. ઘણા એવા સાંસદોનું પેન્શન પણ લઈ રહ્યા છે, જેઓ અગાઉ અહીં ધારાસભ્ય હતા. તેમનું પેન્શન પણ લેવામાં આવી રહ્યું છે. તો આવા ધારાસભ્યો માટે પંજાબ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે, 2 વાર ધારાસભ્યો રહ્યા 5 વાર ધારાસભ્યો રહ્યા હોય કે 7 વાર ધારાસભ્યો રહ્યા હોય તેમને 1 જ ટર્મની પેંશન મળશે.” ભંગવત માનનું આ નિવેદન તમે સાંભળી શકો છો.
આગળ જતા આ વિશે વધુ માહિતી મેળવવા માટે, ફેક્ટ ક્રેસેન્ડોએ પંજાબના અધિક સચિવ એ વેણુ પ્રસાદનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું કે “સરકાર દ્વારા એ પ્રકારે નીતિ બનાવી છે કે તમે ગમે તેટલી ટર્મ માટે ધારાસભ્ય રહ્યા હોય પરંતુ તમને પેંશન એક જ ટર્મનું મળશે. સમગ્ર પેન્શનને બંધ કરવાની વાત નથી, સરકાર દ્વારા માત્ર એક જ પેન્શન આપવાની વાત કરી રહ્યા છે. હાલ પાંચ કે દસ વખત ધારાસભ્ય કે મંત્રી બને છે, તેમને એક સરખું પેન્શન આપવામાં આવે છે. તેના બદલે માત્ર એક જ પેન્શન આપવાની નીતિ બનાવવામાં આવી છે.”
પંજાબમાં પેન્શન સંબંધિત નીતિઓ હાલમાં શું છે?
પંજાબ વિધાનસભા સભ્યો (પેન્શન અને તબીબી સુવિધાઓનું નિયમન) નિયમો, 1977 અને પંજાબ વિધાનસભા સભ્યો (પેન્શન અને તબીબી સુવિધાઓનું નિયમન) નિયમો, 1984 ની કલમ 3(1) અનુસાર, 26 ઓક્ટોબર 2016ના રોજ જારી કરાયેલ સૂચના મુજબ, મૂળભૂત માસિક પેન્શનની રકમ પ્રથમ ટર્મ માટે 15,000 અને દરેક અનુગામી ટર્મ માટે રૂ. 10,000.
લાભાર્થીઓને માસિક પેન્શન અને વર્તમાન લાગુ DA ઉપરાંત 50 ટકા મોંઘવારી ભથ્થું (D.A) પણ મળે છે. આમ, પ્રથમ ટર્મ પેન્શનની કુલ રકમ રૂ. 75,150 થાય છે. તેમાં દરેક ટર્મ સાથે રૂ. 50,100નો વધારો થતો રહે છે.
ભૂતપૂર્વ ધારાસભ્ય માત્ર ત્યારે જ પેન્શન માટે પાત્ર છે જો તે હવે વિધાનસભાના સભ્ય ન હોય. એકવાર તેઓ ફરીથી ચૂંટાયા પછી, તેમને માત્ર પગાર ચૂકવવામાં આવે છે અને પેન્શન રોકી દેવામાં આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર પેંશન બંધ નથી કર્યુ પરંતુ સરકાર દ્વારા 5-7 ટર્મના પેંશન આપવાના બદલે હવે એક જ ટર્મનું પેંશન આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા સમગ્ર પેંશન અટકાવવામાં નથી આવ્યુ.

Title:પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોક્યું નથી, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે…
Fact Check By: Yogesh KariaResult: False
