શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી”...? જાણો શું છે સત્ય…
Vijay savani fan club નામના ફેસબુક પેજ દ્વારા 2 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતની જનતા 6 કરોડ અને 65 કરોડ લોકોને અનાજ-જીવન જરૂરી વસ્તુઓ આપી પાછા વળે એ બીજા.... આ પોસ્ટમાં ઝી 24 કલાક નામની એક ગુજરાતી સમાચાર ચેનલના સ્ક્રીનશોટ સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી”. આ પોસ્ટને 124 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 23 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 37 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી” એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા 27 મે, 2020 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોને ધ્યાનથી સાંભળતાં અમને ક્યાંય પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી” એવું બોલ્યા હોવાનું માલૂમ પડ્યું ન હતું. પરંતુ આ વીડિયોના શરૂઆતમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું કહી રહ્યા છે કે, “17000 સસ્તા અનાજની દુકાનો મારફત 5 કરોડથી વધુ લોકોને અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી.” જે તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે Zee 24 Kalak ગુજરાતી સમાચાર ચેનલનો સંપર્ક કરતાં તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, “અમારી ચેનલમાં બ્રેકિંગ કરતી વખતે માનવીય ભૂલના કારણે 5 કરોડની જગ્યાએ 65 કરોડ લખાઈ ગયું હતું. લોકો અમારી ચેનલનો સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરી રહ્યા છે.”
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો CMO Gujarat દ્વારા પણ 27 મે, 2020 ના રોજ તેના ઓફિશિયલ યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો. તેમાં પણ 5.18 મિનિટ પછી તમે સાંભળી શકો છો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું કહી રહ્યા છે કે, “17000 સસ્તા અનાજની દુકાનો મારફત 5 કરોડથી વધુ લોકોને અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી.” જે પણ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર ચેનલના ફોટોમાં માનવીય ભૂલના કારણે 5 કરોડની જગ્યાએ 65 કરોડ લખાઈ ગયું હતું. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના વક્તવ્યમાં ક્યાંય પણ આ પ્રકારે બોલ્યા નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર ચેનલના ફોટોમાં માનવીય ભૂલના કારણે 5 કરોડની જગ્યાએ 65 કરોડ લખાઈ ગયું હતું. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના વક્તવ્યમાં ક્યાંય પણ આ પ્રકારે બોલ્યા નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “અમે 65 કરોડ લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ આપી”...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False