ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ઓધવજી પટેલ નહિં પરંતુ ભાજપાના મંત્રી રાઘવજી પટેલ છે.

મોરબીનો બ્રિજ તુટ્યો તે માટે સમારકામ કરનાર કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને તેના માલિક સહિત કુલ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આ જ પૃષ્ટભૂમિ પર એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સાથે ઉભેલા વ્યક્તિને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં ઉભેલા વ્યક્તિ ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલ છે. જેણે મોરબી ઝૂલતા પુલનું સમારકામ કર્યુ હતુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં ઉભેલા વ્યક્તિ ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલ છે. જેણે મોરબી ઝૂલતા પુલનું સમારકામ કર્યુ હતુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, જેમણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

તેમજ વીટીવી ન્યુઝ દ્વારા ફોટો સાથે આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તેમજ રાઘવજી પટેલ દ્વારા પણ તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પણ આ જ મુલાકાતની આ તસ્વીર તેમજ અન્ય ફોટો શેર કર્યા હતા અને સાથે એવું લખ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એટલે દેશના જનજનની આશા, આખા દેશને આપદાઓમાં માર્ગ ચીંધતો ઓથાર, આજે તેઓ શ્રીએ શુભેચ્છા મુલાકાત માટે સમય ફાળવી, માર્ગદર્શન કર્યું અને ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી ત્યારે ધન્યતા અનુભવી.
તેમજ ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલ અંગે સર્ચ કરતા અમને લાઈવ મિન્ટનો વર્ષ 2012નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઓધવજી પટેલનું 2012માં 87 વર્ષની વયે નિધન થયું હતું. ‘ફાધર ઓફ વોલ ક્લોક’ તરીકે ઓળખાતા ઓધવજી અજંતા, ઓરપટ અને ઓરેવા ગ્રુપના માલિક હતા. દિવાલ ઘડિયાળો સિવાય તેમની કંપની ઇલેક્ટ્રિક બાઇક, ટ્યુબલાઇટ, ઘડિયાળો જેવી ઘણી વસ્તુઓ બનાવતી હતી.”

તેમજ મંત્રી રાઘવજી પટેલ અને ઓરેવા કંપનીના ઓધવજી પટેલના બંને ફોટો વચ્ચેનો તફાવત પણ તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલનો નહિં પરંતુ ભાજપાના મંત્રી રાઘવજી પટેલનો છે. જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભાજપના મંત્રીનો ફોટો મોરબીના ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
