
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની બે હોટલો કોરોના વાયરસના દર્દીઓ માટે હોસ્પિટલમાં ફેરવી નાખી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. કોરોના વાયરસને લઈ સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા વ્યક્તિઓના નામે ખોટા મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ મેસેજ પણ શંકા ઉપજાવે તેવો હતો.
ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કર.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “રોનાલ્ડોએ તેની હોટલ હોસ્પિટલમાં ફેરવી તે ખોટા સમાચાર છે. તેમના હોટલના સ્ટાફ દ્વારા આ અંગે પૃષ્ટી કરવામાં આવી છે. અને આ વાતને નકારવામાં આવી છે.”

તો પછી રોનાલ્ડોની વાત આવી ક્યાંથી તે તપાસવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સ્પેનના સમાચાર પત્ર માર્કા દ્વારા સૌપ્રથમ વાર આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ પોર્ટુગલના પત્રકાર ફિલિપ કેટાનો દ્વારા આ વાતને ખોટી સાબિત કરતા જણાવ્યુ હતુ કે, રોનાલ્ડો દ્વારા આ પ્રકારે કોઈ કાર્ય નથી કરવામાં આવ્યુ. ત્યારબાદ માર્કા દ્વારા આ સમાચારને તેમની વેબસાઈટ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી દૂર કર્યા હતા.” આ સમાચાર તમે નીચે વાંચી શકો છો.

કોરોના વાયરસને લઈ રોનાલ્ડો દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી મેસેજ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “વિશ્વ હાલ ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આજે હું તમારી સમક્ષ એક ફૂટબોલર તરીકે નહીં પરંતુ એક દીકરા, એક પિતા, એક માણસ તરીકે ચિંતા વ્યક્ત કરી રહ્યો છું. આ ઘણું જરૂરી છે કે WHO અને સરકારના સૂચનોનું પાલન કરવામાં આવે. આ જ એક વિકલ્પ છે જેના થકી આપણ મુશ્કેલ સમયનો સામનો કરી શકીએ. લોકોના જીવ બચાવવા તમામ કામથી વધુ જરૂરી છે. તમામ લોકો માટે દુ:ખી છું જેમણે પોતાના જીવ ગુમાવ્યા. આ જોખમ સામે લડતા લોકો પ્રત્યે માન છે.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દ્વારા આ પ્રકારે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. જેની પૃષ્ટી પેસ્તાના સીઆર-7 હોટલના તેની પૃષ્ટી કરવામાં આવી હતી.

Title:શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
