તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ સ્વીકારે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક પેજ દ્વારા 15 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સનાતનથી જ કેમ કોંગ્રેસને વાંધો છે. વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો રાહુલ ગાંધીના સત્તાવાર યુટ્યુબ પર 14 માર્ચ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો નાસિકમાં ભારત જોડો ન્યાય યાત્રા નિમિત્તે યોજાયેલી ખેડૂતોની બેઠકનો છે.

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં તમે 16 મિનિટ અને 20 સેકન્ડમાં વાયરલ ક્લિપના ભાગો જોઈ શકો છો. આ સમયે રાહુલ ગાંધીનું ફેટા બાંધીને અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારોહ દરમિયાન, એક વ્યક્તિ ભગવાન વિઠ્ઠલની મૂર્તિ આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગળામાં હાર પહેરેલા રાહુલ ગાંધીનો ફોટો લેનાર એક વ્યક્તિએ આ મૂર્તિ લઈને આવેલા વ્યક્તિને મૂર્તિ સાથે બાજુ પર ધકેલી દીધા હતા.

આ સંપૂર્ણ વીડિયોમાં તમે 17 મિનિટ અને 28 સેકન્ડ પર ભગવાન વિઠ્ઠલની મૂર્તિ સ્વીકારતા જોઈ શકો છો.

આ દિવસે રાહુલ ગાંધીએ બાર જ્યોતિર્લિંગોમાંના એક ત્ર્યંબકેશ્વર મંદિરમાં અભિષેક કર્યો હતો. નીચેના વીડિયોમાં રાહુલ ગાંધી અને નાના પટોલે પૂજા કરતા જોવા મળે છે.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રાહુલ ગાંધી સનાતન ધર્મમાં માને છે અને પૂજા પણ કરે છે.

હવે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા વીડિયો અંગે સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર ટાઈમ્સ નાઉ દ્વારા 19 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા તિલક લગાવવાનો ઈન્કાર કરવામાં આવ્યો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ સ્વીકારે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context