
Haresh Borad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સિઘ્ઘાઁથ નગર સિમાડા ગામ સુરત ના નીયમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે, “સુરતના સિદ્ધાર્થનગર સિમાડા ગામમાં તારીખ 27 માર્ચ 2020થી બાઈક પર પ્રતિબંધ લગાડવામાં આવેલો છે, અને મહિલાઓ જ ઘરની બહાર નીકળી શકશે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “તારીખ 27 માર્ચથી બાઈક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ગુજરાત સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કપડવંજ, કઠલાલ, મહેમદાવાદમાં માત્ર મહિલાઓ જ શાકભાજી લેવા જઈ શકશે, માર્કેટમાં ભીડ થતા આ પગલા લેવામાં આવ્યા છે.”

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સુરત કલેક્ટર ડો.ધવલ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. આ પ્રકારે કોઈ જાહેરનામુ સુરતમાં બહાર પાડવામાં આવ્યુ નથી. લોકોને અફવાઓથી દૂર રહેવા નમ્ર વિંનતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આ પ્રકારે કોઈ આદેશ સુરતમાં કરવામાં આવ્યો નથી. માત્ર ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, મહેમદાવાદમાં આ જાહેરનામુ લાગુ કરવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર સુરતમાં બાઈક લઈને બહાર નીકળવા પર મનાઈ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
