
બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 55 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજસ્થનમાં સરકાર દ્વારા તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને First India News Rajasthan દ્વારા 31 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તીડના આક્રમણવાળા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓએ બાડમેરના ધનાઉની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. સમાચારના આ વીડિયોમાં તમે અશોક ગેહલોતના હેલિકોપ્ટરને 1.54 મિનિટ પછી લેન્ડિંગ થતું જોઈ શકો છો. તેનો જ ફોટો ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે અને હેલિકોપ્ટરથી તીડના આક્રમણને પગલે દવાનો છંટકાવ કરવામાં આવ્યો એવો દાવો પણ કરવામાં આવ્યો છે. પરંતુ એવું નથી તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, રાજસ્થાનના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના સિગ્નલ માટે નીચે ધુમાડો કરવામાં આવ્યો હતો. એજ ફોટો પોસ્ટમાં મૂકીને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા તીડ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવામાં આવી હતી. તેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindi.news18.com | zoomnews.in | bhaskar.com
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધનાઉના વિકાસ અધિકારી ગણપત સુથાર સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હજુ સુધી કોઈ પણ જગ્યા પર આ પ્રકારે હેલિકોપ્ટરથી સરકાર દ્વારા તીડ પર દવાનો છંટકાવ કરવામાં નથી આવ્યો. આ ફોટો જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ધનુઆ પહોંચ્યા ત્યારે તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ માટે સિગ્નલ આપવા ધુમાડો કરવામાં આવ્યો હતો. તે સમયનો આ ફોટો છે. જેને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તીડ પર હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી દવાના છંટકાવનો નહીં પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે કરવામાં આવેલા ધુમાડાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તીડ પર હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી દવાના છંટકાવનો નહીં પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જ્યારે તીડ પ્રભાવિત ક્ષેત્રની મુલાકાતે ગયા તે સમયે ધનુઆ ખાતે તેમના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે કરવામાં આવેલા ધુમાડાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
