
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પેઈન્ટિંગ સાથે ઉભેલી મહિલાના ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીની પત્ની છે અને બાજુમાં તેણીએ બનાવેલું પેઈન્ટિંગ છે જે તે સમયે એ.કે.એન્ટોનીએ સરકારના 28 કરોડ આપીને રુપિયામાં ખરીદ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીએ તેમની પત્એ બનાવેલું પેઈન્ટિંગ સરકારના 28 કરોડ રુપિયામાં ખરીદ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. એએઆઈએ એલિઝાબેથ એન્ટોનીનું પેઈન્ટિંગ 2.5 લાખ રુપિયામાં જ ખરીદ્યું હતું. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જય ભારત કુમાર નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીની પત્ની છે અને બાજુમાં તેણીએ બનાવેલું પેઈન્ટિંગ છે જે તે સમયે એ.કે.એન્ટોનીએ સરકારના 28 કરોડ આપીને રુપિયામાં ખરીદ્યું હતું.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને indiatoday.in દ્વારા 12 ડિસેમ્બર, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એર ઈન્ડિયાએ એકે એન્ટોનીની પત્ની દ્વારા બનાવેલી પેઇન્ટિંગ ખરીદી હતી. એર ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે એલિઝાબેથ એન્ટોનીના NGO નવુથન ચેરિટેબલ ફાઉન્ડેશનની સહાયતામાં અને કેન્સરની જાગૃતિ માટે તેણીના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમના બે ચિત્રો એર ઈન્ડિયા દ્વારા તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 માટે ખરીદવામાં આવ્યા હતા.

ડેક્કન ક્રોનિકલમાં 2016માં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર, એક RTIમાં ખુલાસો થયો હતો કે, એલિઝાબેથની પેઇન્ટિંગ 28 કરોડ રૂપિયામાં નહીં પણ 2.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
વધુમાં અમને એલિઝાબેથનું ફેસબુક પેજ મળ્યું. જેમાં અમને આ મામલે તેમના દ્વારા 15 ઓગસ્ટ, 2016ના રોજ કરવામાં આવેલી સ્પષ્ટતા મળી હતી. આરટીઆઈનો જવાબ શેર કરીને, તેણે પેઇન્ટિંગ માટે AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) પાસેથી 28 કરોડ રૂપિયા લેવાની અફવાઓને ફગાવી દીધી હતી.
તેમણે લખ્યું છે કે, અમારા એક સાથીદારે આ બાબતે આરટીઆઈ દાખલ કરી હતી અને વેચાયેલી પેઇન્ટિંગ્સની સંખ્યા અંગે ખૂબ જ સ્પષ્ટ જવાબ મળ્યો છે. દરેક પેઇન્ટિંગની કિંમત 1.25 લાખ રૂપિયા છે. ખરીદીની તારીખો અને બેંકિંગ વ્યવહારની વિગતો પણ અહીં આપવામાં આવી છે.
તેણીએ 19 જૂન, 2012ના રોજ વાયરલ થયેલી અફવાના આરોપોને ફગાવી દીધા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પૂર્વ રક્ષામંત્રી એ.કે.એન્ટોનીએ તેમની પત્એ બનાવેલું પેઈન્ટિંગ સરકારના 28 કરોડ રુપિયામાં ખરીદ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. એએઆઈએ એલિઝાબેથ એન્ટોનીનું પેઈન્ટિંગ 2.5 લાખ રુપિયામાં જ ખરીદ્યું હતું. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો પૂર્વ રક્ષામંત્રી એ કે એન્ટોનીએ તેમની પત્નીની પેઈન્ટિંગ સરકારના 28 કરોડ રુપિયામાં ખરીદી હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
