
શિવ ગુર્જરની 18 માર્ચ 2022ના રોજ દિલ્હીના નરાયણા વિસ્તારમાં પાનની દુકાનમાં થયેલી દલીલ બાદ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના શિવા ગુર્જરની હત્યા મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, શિવા ગુર્જરની હત્યાને લઈ સોશિયલ મિડિયામાં કરવામાં આવતો દાવો તદ્દન ભ્રામક છે. હત્યા કરનાર પાંચમાંથી ચાર આરોપી હિન્દુ છે જ્યારે એક આરોપી મુસ્લિમ છે. દિલ્હી પોલીસે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vikas Ahir Vadodara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીના શિવા ગુર્જરની હત્યા મુસ્લિમ યુવાન દ્વારા કરવામાં આવી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિંદુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “18 માર્ચે શિવ તેના મિત્રો સાથે PVR નારાયણા પાસેની પાનની દુકાને ગયો હતો. શિવાની બાઇક કથિત રીતે દુકાન પાસે વકીલ અહેમદની બાઈક સાથે ટક્કરાઈ હતી. વકીલ પાનની દુકાનમાં કામ કરતો હતો. અથડામણને કારણે તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. બાદમાં દુકાનના માલિક ધર્મેન્દ્ર રાય, તેના બે પુત્રો પણ દલીલમાં જોડાયા હતા અને કથિત રીતે શિવાની ચાકુ મારીને હત્યા કરી હતી.”

તેમજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, “ઘટના બાદ નારાયણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 અને કલમ 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શનિવારે પશ્ચિમ દિલ્હીમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને છરી મળી આવી હતી. વકીલ ઉપરાંત અન્ય આરોપીઓની ઓળખ ધર્મેન્દ્ર રાય (52), સચિન રાય (22), રામાનુજ રાય (22) અને એક સગીર તરીકે કરવામાં આવી છે. તમામ નારાયણા ગામના રહેવાસી છે.”
આ ઘટના અંગે ફેલાતી અફવાને રદિયો આપતાં દિલ્હી પોલીસે 27 માર્ચે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં DCP પશ્ચિમ દિલ્હીનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “એફઆઈઆર મુજબ, જે મૃતક છે અને જેણે હત્યા કરી છે, બંને એક જ સમુદાયના છે. આ ઘટનાને લઈ સોશિયલ મિડિયામાં જે સાંપ્રદાયિક રંગ ફેલાવવામાં આવી રહ્યો છે તે તદ્દન પાયાવિહોણો છે.”
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે અમે નારાયણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસ સીમા તંવરે અમને સ્પષ્ટતા કરી કે આ ઘટના પરસ્પર અથડામણના કારણે બની હતી. આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક વળાંક નથી.
એસએચઓ સમીર શ્રીવાસ્તવે અમને સ્પષ્ટતા કરી કે, “વાયરલ સમાચારમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. 18 માર્ચે શિવ ગુજરની સ્કૂટી એક આરોપી સાથે અથડાઈ હતી. જે બાદ ઝઘડો શરૂ થયો હતો. પહેલા બોલાચાલી થઈ, બાદમાં મામલો મારામારી પર પહોંચી ગયો. હુમલા દરમિયાન મુખ્ય આરોપીએ શિવા ગુર્જર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મૃતક કે આરોપીઓમાંથી કોઈ નશામાં ન હોતુ. આ ઘટનામાં ચાર હિન્દુ સમુદાય અને એક મુસ્લિમ સમુદાયના લોકો સામેલ છે. મુખ્ય આરોપી અને મૃતક એક જ સમુદાયના છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે મુખ્ય આરોપી સગીર છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે ખોટા દાવા સાથે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ ન આપવા વિનંતી કરી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શિવા ગુર્જરની હત્યાને લઈ સોશિયલ મિડિયામાં કરવામાં આવતો દાવો તદ્દન ભ્રામક છે. હત્યા કરનાર પાંચમાંથી ચાર આરોપી હિન્દુ છે જ્યારે એક આરોપી મુસ્લિમ છે. દિલ્હી પોલીસે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે.

Title:અંદરો-અંદરના ઝઘડામાં થયેલી હત્યાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Missing Context
