આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે.

અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની સહી દ્વારા લખવામાં આવેલી રામાયણને જોઈ શકાય છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવશે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ગુજરાત સમાચાર દ્વારા 30 માર્ચ 2023ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, સુરત શહેરમાં 19 કિલોની એક દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે. જેને માત્ર વર્ષમાં એક વાર રામનવમીના દિવસે જાહેરમાં મુકવામાં આવે છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈટીવી ભારતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી છે કે, “530 પાનાની સોનાની આ રામાયણ 222 તોલાના સ્વર્ણની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમ થી સજાવવામાં આવી છે. જેની કિંમત કરોડોમાં છે. સ્વર્ણ રામાયણના મુખ્ય પૃષ્ટ પર એક તોલા સોનાથી શિવની, અર્ધા તોલા સોનાથી હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે. 1981માં રામભાઈ ભક્ત દ્વારા આ સુવર્ણ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્ર માંજ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી. જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. આ રામાયણમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ છે.”

તેમજ વધુ તપાસ કરતા અમને આ રામાયણનું સંચાલન કરતા અમને ગુણંવતભાઈનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ, જે ETV BHARAT GUJARAT દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. તમે નીચે વાંચી શકો છો.
તેમજ આ રામાયણ લખનાર રામભાઈ ગોકળભાઈ ભક્તના પૌત્ર જે હાલ રામાયણનું સંચાલન કરી રહ્યા છે, તે રાજેશકુમાર ભક્ત તથા તેમના પત્ની ઈંદિરાબેન ભક્ત દ્વારા બીબીસી ગુજરાતીને આપવામાં આવેલુ ઈન્ટવ્યુ તેમજ આ રામાયણની સંપૂર્ણ માહિતી પણ તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે આ રામાયણ લખનાર રામભાઈ ગોકળભાઈ ભક્તના પૌત્ર રાજેશકુમાર ભક્ત જે હાલ આ રામાયણનું સંચાલન કરી રહ્યા છે તેમનો અમે સંપર્ક સાધ્યો હતો તેમણે જણાવ્યુ હતુ કે, “આ સોનાની રામાયણને સુરતમાં જ રાખવામાં આવવાની છે. તેમજ માત્ર રામ નવમીના દિવસે જ ભક્તોના દર્શન માટે બહાર કાઢવામાં આવે છે, તેને અયોધ્યા મોકલવાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ રામાયણ આજથી 42 વર્ષ પહેલા 1981માં લખવામાં આવેલી છે. જે હમેશાં રામનવમીના દિવસે જ ભક્તોના દર્શન માટે મુકવામાં આવે છે. આ રામાયણને અયોધ્યા મોકલવામાં આવવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
