
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુસ્સે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ એક એડિટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 25 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નરેશભાઈ જોરદાર ના દાદા ગુરુ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANI Bharat દ્વારા 26 નવેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જનસભાને સંબોધિત કરતી વખતે ગુસ્સે થઈ ગયા, જેના કારણે તેઓ એક વ્યક્તિ પર ગુસ્સે થઈ ગયા અને તેમને ત્યાંથી જવાનું કહ્યું. તેલંગાણાના કાલવકુર્થીની આ ઘટના છે, જ્યારે તેઓ એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપ પર નિશાન સાધતા હતા, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને એક વ્યક્તિને બૂમ પાડીને કહ્યું કે, “જો તમારે સાંભળવું હોય તો સાંભળો, નહીં તો જાઓ”.
ઉપરોક્ત વીડિયોમાં અમને ક્યાંય પણ મોદી-મોદીના નારા લાગ્યા હોય એવું સાંભળવા મળ્યું નથી.
અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસ અધ્યક્ષની આ જનસભાનો સંપૂર્ણ વીડિયો કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 26 નવેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેને ધ્યાનથી જોતાં અમને 21 મિનિટ પછી પોસ્ટમાં વાયરલ વીડિયોના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ તેમાં પણ ક્યાંય મોદી-મોદીના નારા સાંભળવા મળતા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઓરિજીનલ નહીં પરંતુ એક એડિટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title: જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Altered
