શું ખરેખર ડોક્ટર રમાકાંત જોશીની અંતિમ યાત્રાનો ફોટો છે....? જાણો શું છે સત્ય...
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पुणे में आज MBBS डॉ. रमाकांत जोशी जी की मृत्यु हो गई है। उनका एक लड़का है, लेकिन वह अमेरिका में रहता है और पत्नी की उम्र 74 वर्ष है और डॉ. चाहते थे कि वे 4 लोगों के कंधों पर जाऊं, लेकिन कोरोना के वजह से कोई भी परिजन उनके पास आने के लिए तैयार नहीं था। मोहल्ले में रहने वाले मुस्लिम युवकों ने मिलकर सारी व्यवस्था की और शव को अपने कंधों पर रखकर श्मशानभूमि ले गए और अंत्यसंस्कार कर दिया ।.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 135 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પુનાના કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા ડો.રમાકાંત જોશીની પાર્થિવ દેહને ખંભો આપ્યો તેનો ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અભિનેતા એજાઝ ખાન દ્વારા આ ફોટો 28 એપ્રિલ 2020ના રોજ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરી હોવાનું જાણવા મળ્યું હતુ. તેમણે લખ્યું હતું કે આ મેરઠમાં રમેશચંદ્ર માથુરના અંતિમ સંસ્કારનો ફોટો છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત માહિતી બાદ અમે આ અંગે શોધ કરતા અમને એશિયાનેટ દ્વારા 1 મે 2020ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મેરઠ શહેરના શાહપીર ગેટના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં રહેતા પૂજારી રમેશચંદ્ર માથુર થોડા સમયથી બિમાર હતા. તેમના મૃત્યુ સમયે તેમનો એક દિકરો દિલ્હી ગયો હતો અને બીજો એક ઘરે હતો. લોકડાઉનના કારણે સબંધીઓને પણ આવવા દેવામાં ન આવતા હતા. તેથી, મુસ્લિમ સમુદાયના યુવાનોએ પહેલ કરી અને રમેશચંદ્ર માથુરના અંતિમ સંસ્કાર કર્યાં હતા.”
29 મી એપ્રિલ, 2020 ના રોજ ઘ ઇન્કિલાબના એક અહેવાલ મુજબ, મેરઠમાં ચિત્રગુપ્ત મંદિરના પ્રભારી એવા રમેશચંદ્ર માથુરની આર્થિક પરિસ્થિતી સારી ન હતી. તેથી, મુસ્લિમ સમુદાય દ્વારા આ અંતિમ સંસ્કાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમે આ સમાચારમાં પણ આ ફોટો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પુનાના ડોક્ટર રમાકાંત જોશીની અંતિમ યાત્રાનો નહિં પરંતુ મેરઠના પુજારીની અંતિમ યાત્રાનો ફોટો છે.
Title:શું ખરેખર ડોક્ટર રમાકાંત જોશીની અંતિમ યાત્રાનો ફોટો છે....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False