
હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે. હાલમાં બોરિસ જોન્સનના પ્રવાસ દરમિયાનની આ તસ્વીર નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gauri Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.”

આ ફોટોને આપના અન્ય નેતા કૃણાલ કપુરિયા દ્વારા પણ આ જ માહિતી સાથે ફોટોને શેર કરવામાં આવ્યો હતો.

આપના અન્ય નેતા એમ.કે.ડોડિયા દ્વારા પણ આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અમદાવાદ મિરર દ્વારા 12 માર્ચ 2021ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “વડાપ્રધાન મોદી ભારતમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉદ્ઘાટન માટે માર્ચ 2021માં અમદાવાદ આવ્યા ત્યારે સાબરમતી આશ્રમના માર્ગ પર ઝૂંપડપટ્ટી ઢાંકવામાં આવી હતી.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા ફોટો પ્રસારિત કરનાર આસિક બેનર્જીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ફોટો હાલનો નથી આ ફોટો ગત વર્ષે નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તે સમય નો છે.”
જો કે, હાલમાં યુનાઇટેડ કિંગડમના વર્તમાન વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સ્લમ વિસ્તારોને સફેદ કપડાથી ઢાંકી દેવાયા હતા. જો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો જુનો છે. હાલના આ ફોટોને ઘણા પત્રકારોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી અમદાવાદમાં છુપાયેલા ઝુંપડપટ્ટીના ફોટાને શેર કર્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, ફક્તને ફક્ત આ ફોટો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે. હાલમાં બોરિસ જોન્સનના પ્રવાસ દરમિયાનની આ તસ્વીર નથી.

Title:બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….
By: Yogesh KariaResult: Explainer
