
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેશનકાર્ડને લગતી કેટલીક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવો કોઈ જ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Way 2news નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા રેશનકાર્ડના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેશનકાર્ડ મુદ્દે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ત્રણ મહિના સુધી રાશન ન લાનારનું રેશનકાર્ડ રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા 18 ડિસેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ કરવામાં આવશે એવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જિલ્લાના પુરવઠા વિભાગનો સંપર્ક કરતાં તેઓએ પણ અમને એજ જણાવ્યું હતું કે, હજુ સુધી સરકાર દ્વારા ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ કરવા અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું સરકાર દ્વારા જ ખંડન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ કરવામાં આવશે એવો કોઈ જ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

Title:ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
