
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની એક જૂની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં તે મિત્રો સાથે જમીન પર બેસેલા જોઈ શકાય છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભગવંત માન અને તેમના મિત્રોની આ તસવીર હોળીના સમયની છે. ભગવંત માન બાઇક ચોરીમાં પકડાયા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rudra Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને પંજાબી ગાયક કરમજીત અનમોલે 18 માર્ચે આ તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ સાથે તેણે લખ્યું છે કે, “હોળીની યાદો ભગવંત માન અને મનજીત સિદ્ધુ છે.”

ફેક્ટ ક્રેસેન્ડોએ પંજાબના એડિશનલ ચીફ સેક્રેટરી એ. વેણુ પ્રસાદનો સંપર્ક કર્યો હતો. તેણે અમને કહ્યું કે “એ વાત ખોટી છે કે ભગવંત સિંહ માન બાઇક ચોરતા પકડાયા હતા. આ તસવીરને લઈને સોશિયલ મિડિયા પર ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે.”
અમે પછી કરમજીત અનમોલના ભાઈ અને મેનેજર “મીટ માણક” સાથે વાત કરી. તેણે અમને કહ્યું કે “આ તસવીર 1997ની છે. હોળીની ઉજવણી માટે દરેક લોકો હરભજન માનના ઘરે એકઠા થયા હતા. તેમાં ભગવંત સિંહ માન જી, કરમજીત અનમોલ અને મનજીત સિદ્ધુ છે. તેમની પાછળ સુરક્ષાકર્મીઓ ઉભા છે.”
તેમજ ભગવંત માન દ્વારા ચૂંટણી પંચમાં જમા કરાવેલ સૌંગદનામું પણ વાંચ્યુ હતુ. જેમાં પણ ક્યાંય ચોરીનો ગુનો નોધાયો હોવાની માહિતી આપવામાં આવી ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીર ભગવંત માનના મિત્રના ઘરે 1997માં હોળીના અવસર પર ક્લિક કરવામાં આવી હતી. ભગવંત માન બાઇક ચોરીમાં પકડાયા નથી.

Title:શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
